રાજકારણના ગુનાહિતકરણને રોકવા અને લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર એક મોટું બંધારણીય પગલું ભરવા જઈ રહી છે. ગંભીર ગુનાઓના આરોપી મંત્રીઓને પદ પરથી હટાવવાની જોગવાઈ ધરાવતા '130 મા બંધારણીય સુધારા બિલ 2025 ' પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) આગામી ચોમાસુ સત્ર પહેલા, એટલે કે 17 જુલાઈ સુધીમાં પોતાનો અંતિમ અહેવાલ લોકસભા અધ્યક્ષને સુપરત કરશે. JPCના અધ્યક્ષા અપરાજિતા સારંગીએ સ્પષ્ટ કર્યું છે કે આ બિલનો મુખ્ય હેતુ બંધારણીય નૈતિકતા જાળવી રાખવાનો છે અને દેશના કોઈ પણ વર્ગે આ હેતુ સામે સવાલ ઉઠાવ્યો નથી.
વ્યાપક પરામર્શ: વિવિધ રાજ્યો અને સંસ્થાઓ પાસેથી લેવાયેલા સૂચનો
અહેવાલને આખરી ઓપ આપતા પહેલા JPC સભ્યોએ દેશભરમાંથી વ્યાપક પ્રતિભાવો મેળવ્યા છે. સમિતિએ અત્યાર સુધીમાં લો કોલેજો, યુનિવર્સિટીઓ અને વિભિન્ન એનજીઓ સહિત કુલ 42 સંસ્થાઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને મહત્વના સૂચનો એકત્રિત કર્યા છે. આ ઉપરાંત, દેશના તમામ રાજ્યો પાસેથી પણ લેખિત રજૂઆતો માંગવામાં આવી હતી, જેમાં દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ કોઈ વાંધો નથી ઉઠાવ્યો, જ્યારે આંધ્રપ્રદેશે બે નાના સુધારા સૂચવ્યા છે. જોકે, સંસદના આગામી ચોમાસુ સત્રમાં આ બિલ રજૂ થશે કે નહીં તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા નથી, કારણ કે બિલ પસાર કરવા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી હાલમાં NDA પાસે નથી.
બિલની કડક જોગવાઈઓ: મંત્રીઓને પદ પરથી હટાવવાનો નવો નિયમ
આ ઐતિહાસિક બંધારણ સુધારા બિલ, 2025 અંતર્ગત મંત્રીઓ પર કડક સકંજો કસવાની જોગવાઈ છે. જો કોઈ મંત્રી સામે 5 વર્ષ કે તેથી વધુની સજા પાત્ર ગુનાના આરોપો ઘડવામાં આવે અથવા તેમને 30 દિવસથી વધુ સમય માટે જેલની સજા થાય, તો તેમને પદ પરથી દૂર કરી દેવામાં આવશે. આ નિર્ણય રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ દ્વારા વડાપ્રધાન કે મુખ્યમંત્રીની સલાહથી લેવામાં આવશે, અથવા તો સજાના 31મા દિવસે મંત્રી પદ આપમેળે જ રદ થઈ જશે.
આ પણ વાંચો: 15 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં ઐતિહાસિક ચુકાદો : મહારાષ્ટ્રના 9 પોલીસકર્મીઓને આજીવન કેદ
વિપક્ષનો હોબાળો અને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નું માળખું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જ્યારે નવેમ્બર 2025 માં આ બિલ ગૃહમાં રજૂ કર્યું ત્યારે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ ડિસેમ્બરમાં 31 સભ્યોની આ ખાસ JPC સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ વિપક્ષી સભ્યોએ તેમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં આ સમિતિમાં માત્ર ચાર બિન-NDA સભ્યો (અસદુદ્દીન ઓવૈસી, સુપ્રિયા સુલે, હરસિમરત કૌર બાદલ અને સુધા મૂર્તિ) સામેલ હતા, જેમાંથી હરસિમરત કૌરે પ્રથમ બેઠક બાદ જ રાજીનામું આપી દીધું હતું. હવે આ બિલ જો પાસ થશે, તો ભારતીય રાજકારણમાં ખૂબ મોટા અને દૂરોગામી પરિવર્તનો જોવા મળી શકે છે.





