સુરત શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી લાંચીયા કાર્યપાલક ઇજનેરને દબોચી લીધો છે. આ કેસમાં ફરીયાદી તરીકે એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપી નં. (1) તરીકે વિપુલ શશીકાંતભાઈ ગણેશવાલા, કાર્યપાલક ઇજનેર, વર્ગ-1, લિંમ્બાયત ઝોન, સુરત મહાનગર પાલિકા, સુરતનો સમાવેશ થાય છે. આરોપી નં. (2) તરીકે મહંમદઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ, પત્રકાર, નિષ્પક્ષ ગુજરાત પત્રિકા, સુરતનો સમાવેશ થાય છે.
ડિમોલેશનની કાર્યવાહી અટકાવવા લાંચ?
વિગતો અનુસાર, ફરીયાદીના સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. 134-135 પર થયેલા બાંધકામ મામલે 10/11/2025ના રોજ મનાઈ હુકમની નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ 13/02/2026ના રોજ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી અને રૂ. 1,70,000/- ડિમોલેશન ચાર્જ વસૂલવામાં આવ્યા હતા.
રૂ. 21,00,000ની લાંચ માગી
આરોપી નં. (1) વિપુલ શશીકાંતભાઈ ગણેશવાલાની સૂચનાથી ડિમોલેશન અટકાવવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. આરોપ છે કે બાંધકામ ન તોડવાના બદલામાં પ્રથમ રૂ. 21,00,000- લાંચની માંગણી કરવામાં આવી હતી, જે બાદ વાટાઘાટો પછી રૂ. 15,00,000/- પર સમજૂતી થઈ. જેમાંથી 19/02/2026ના રોજ રૂ. 4,00,000/- સ્વીકારવાની અને બાકીના રૂ. 11,00,000/- સોમવાર સુધી આપવા નક્કી થયું હતું. ફરીયાદીએ લાંચ આપવાની ના પાડી અને એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.




















