Balasinor Jaundice Cases : બાલાસિનોર શહેરમાં કમળાનો કહેર હજુ યથાવત રહેતા ચિંતા વધતી જઈ રહી છે. આજની તારીખે કમળાના કુલ કેસોની સંખ્યા વધીને 378 પર પહોંચી ગઈ છે. માત્ર ડિસેમ્બર માસ દરમિયાન જ કમળાના 378 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર પર ભારે દબાણ ઊભું થયું છે.
શંકાસ્પદ દર્દીઓની તપાસ
કમળાને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગની સાથે સાથે વહીવટી વિભાગ પણ સક્રિય બની ગયો છે. હાલ આરોગ્ય વિભાગની કુલ 52 થી વધુ ટીમો અને વહીવટી વિભાગની 41 ટીમો ગ્રાઉન્ડ પર ઉતરીને સર્વે, સ્ક્રીનિંગ અને જરૂરી કાર્યવાહી કરી રહી છે. ઘરેઘરે જઈને લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ દર્દીઓના નમૂના લેવામાં આવી રહ્યા છે.
તંત્ર એક્શન મોડમાં આવ્યું
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે કમળાના કેસોમાં વધારો થયો હતો. નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની લાઇન અને ગટર લાઇન મિક્સ થવાથી રોગચાળો ફેલાયો હોવાનું સ્પષ્ટ થયું છે. જો કે પરિસ્થિતિ ગંભીર બનતાં તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને મોટાભાગના પાણીના લીકેજને રિપેર કરવામાં આવ્યા છે.
બે શંકાસ્પદ મોત થયાની ચર્ચા
મામલતદાર દ્વારા નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે જો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો. બાલાસિનોરમાં કમળાને લઈને બે શંકાસ્પદ મોત થયાની ચર્ચા પણ ચાલી રહી છે, જો કે આ અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.





















