Jaswant Singh Khalra Murder Case: પંજાબના ચર્ચિત માનવાધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલડા હત્યાકાંડને લઈને ફરી એકવાર મોટો વિવાદ ઉભો થયો છે. આ કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા પૂર્વ ડીએસપી જસપાલ સિંહના ઠેકાણા અંગે ઉભા થયેલા સવાલોએ રાજકીય અને કાનૂની વર્તુળોમાં ચર્ચા જગાવી છે. નાભા ઓપન એગ્રીકલ્ચરલ જેલ પ્રશાસને તેમના વર્તમાન સરનામાની ચકાસણી કરવા માટે પંજાબ પોલીસને પત્ર લખ્યો હતો, પરંતુ નોંધાયેલા સરનામે તેઓ મળી આવ્યા ન હતા. આ સમગ્ર ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે જસવંત સિંહ ખાલડા પર આધારિત ફિલ્મ 'સતલુજ' (અગાઉનું નામ Punjab 95)ને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. બંને મુદ્દાઓને કારણે આ કેસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
જેલ પ્રશાસનની તપાસમાં નોંધાયેલા સરનામે ન મળ્યા
નાભા ઓપન જેલ પ્રશાસને પૂર્વ ડીએસપી જસપાલ સિંહના હાલના સરનામાની ચકાસણી કરવા માટે પોલીસને વિનંતી કરી હતી. ત્યારબાદ હોંશિયારપુર પોલીસ દ્વારા જેલ રેકોર્ડમાં દર્શાવાયેલા સરનામે તપાસ હાથ ધરવામાં આવી. હોંશિયારપુરના એસએસપી સંદીપ મલિકે જણાવ્યું કે,પોલીસ જ્યારે નોંધાયેલા ગામે પહોંચી ત્યારે જસપાલ સિંહ ત્યાં રહેતા હોવાનું જાણવા મળ્યું નહીં. જોકે, તેમણે એમ પણ જણાવ્યું કે જેલના રેકોર્ડમાં તેમના એકથી વધુ સરનામા હોઈ શકે છે, તેથી તપાસ હજુ પૂર્ણ થઈ નથી.
વકીલે 'ગુમ' હોવાના દાવાને ફગાવ્યો
આ સમગ્ર મામલે જસપાલ સિંહના વકીલ ગગનદીપ સિંહ ઘિરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમના ક્લાયન્ટ ગુમ થયા હોવાના તમામ દાવા ખોટા અને ભ્રામક છે. તેમણે જણાવ્યું કે, જસપાલ સિંહ હાલમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી આંતરિમ જામીન પર બહાર છે અને પોતાના પુત્ર સાથે જલંધરમાં રહે છે. તેમણે વધુમાં કહ્યું કે,જો તેઓ ખરેખર ગુમ હોત, તો કોર્ટ તેમના જામીનદારોને હાજર રહેવા માટે નોટિસ મોકલત. ઉપરાંત જલંધર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તેમનું સરનામું સંબંધિત અધિકારીઓ સમક્ષ ચકાસી આપવામાં આવ્યું હોવાનું વકીલે જણાવ્યું.
2005માં આજીવન કેદની સજા ફટકારાઈ હતી
જસવંત સિંહ ખાલડા હત્યાકાંડમાં વર્ષ 2005માં CBIની પટિયાલા અદાલતે પૂર્વ ડીએસપી જસપાલ સિંહને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસ વર્ષ 1995માં માનવાધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલડાના અપહરણ અને હત્યા સાથે સંબંધિત હતો. બાદમાં મે 2023માં રાજ્યપાલ સમક્ષ બાકી રહેલી દયા અરજી પર અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી જસપાલ સિંહને નાભા ઓપન જેલમાંથી આંતરિમ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
રાજકીય આરોપ-પ્રત્યારોપ પણ થયા તેજ
આ સમગ્ર મામલે પંજાબમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. શિરોમણી અકાલી દળે આમ આદમી પાર્ટી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ આરોપ મૂક્યો કે રાજ્ય સરકારે પહેલા દોષિતોને સજા ઘટાડવાની ભલામણ કરીને તેમની મુક્તિનો માર્ગ મોકળો કર્યો અને હવે તેમના વર્તમાન ઠેકાણા અંગે પણ સ્પષ્ટ માહિતી આપવામાં નિષ્ફળ રહી છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી સરકારે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. સરકારનું કહેવું છે કે જસવંત સિંહ ખાલડા હત્યાકાંડના દોષિતોની સમય પહેલાં મુક્તિ માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને મુખ્યમંત્રી ભગવંત માને આ સંબંધિત કોઈ ફાઈલ પર હસ્તાક્ષર કર્યા નથી.
તપાસ અને સત્ય સામે આવવાની રાહ
પૂર્વ ડીએસપી જસપાલ સિંહના સરનામા અંગે ઊભા થયેલા સવાલો બાદ હવે પોલીસ અને જેલ પ્રશાસન વધુ તપાસ કરી રહ્યા છે. જોકે, તેમના વકીલના દાવા મુજબ તેઓ ગુમ નથી અને કાયદેસર રીતે આંતરિમ જામીન પર જલંધરમાં રહે છે. આવા સંજોગોમાં તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થવાની શક્યતા છે.





