ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ કાર્યાલય, કમલમ ખાતે “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત વિશેષ પ્રદેશ કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળામાં શ્રમિક કલ્યાણ અને ગ્રામીણ વિકાસના તમામ આયામોમાં “VB-G RAM G” અભિનવ અધિનિયમની જાણકારી તેમજ તેના લાભકારક પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, મનરેગા યોજનાની સરખામણીએ નવા સુધારાઓ સાથે આવેલી “VB-G RAM G” યોજના વધુ લાભકારી, પારદર્શી અને પરિણામલક્ષી છે.
'સાચી માહિતી જમીનથી લઈને દરેક ગામ સુધી પહોંચાડવી મહત્વપૂર્ણ છે'
જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, આ અધિનિયમ અંગેની સાચી માહિતી જમીનથી લઈને દરેક ગામ સુધી પહોંચાડવી મહત્વપૂર્ણ છે, અને પારદર્શિતામાં વધારો થવાથી મનરેગામાં થતો ભ્રષ્ટાચાર ઘટશે. તેમણે કોંગ્રેસ અને તેના મળતિયાઓને આ અંગે ખોટી માહિતી ફેલાવતા બનવાની ટીકા કરી. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે કાર્યક્રમના સુચારુ આયોજન, કાર્યપદ્ધતિ અને સંગઠનાત્મક મુદ્દાઓ પર માર્ગદર્શન આપી સમગ્ર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા પાંખને જન જન સુધી સાચી માહિતી પહોંચાડવા હાકલ કરી હતી.
જિલ્લા સ્તરે ભાજપની કાર્યશાળા યોજાશે
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ “VB-G RAM G” અંતર્ગત શ્રમિકોના લાંબા ગાળાના વિકાસ માટેની જોગવાઈઓ, યોજનાના લાભકારી પાસાઓ અને ગ્રામીણ વિકાસના વિવિધ આયામ અંગે વિસ્તૃત છણાવટ કરી. આ અભિયાન અંતર્ગત 27 થી 29 જાન્યુઆરી વચ્ચે જિલ્લા સ્તરે, 1 થી 5 ફેબ્રુઆરી મંડલ સ્તરે કાર્યશાળા યોજાશે, જ્યારે 5 થી 14 ફેબ્રુઆરીમાં દરેક તાલુકામાં શ્રમિક સંમેલન યોજાશે. ત્યારબાદ 16 થી 28 ફેબ્રુઆરી વચ્ચે ભાજપા કિસાન મોરચા દ્વારા ગ્રામ્ય સ્તરે ખેડૂત-શ્રમિક ખાટલા બેઠકોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યશાળાઓ અને સમારોહો દ્વારા યોજનાની માહિતી વધુમાં વધુ લોકોને પહોંચાડવી, ગ્રામીણ વિકાસને તેજ કરવું અને શ્રમિક કલ્યાણના ઉદ્દેશને પ્રોત્સાહન આપવું મુખ્ય લક્ષ્ય રહેશે.




















