77મા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અનુક્રમે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સ્થિત બીજેપીના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ અવસરે બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું.
ભાજપ કાર્યાલય રાષ્ટ્રપ્રેમથી છલકાયું
ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન બીજેપીના ધારાસભ્યો, પ્રદેશ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ ગીતો અને સૂત્રોચ્ચારોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી છલકાયું હતું. ઉપસ્થિત નેતાઓ અને કાર્યકર્તાઓએ દેશની એકતા, અખંડતા અને બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંકલ્પ લીધો હતો.
'આજે દેશ દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે'
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે દેશ દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે અને પ્રજાસત્તાક પર્વ આપણને આપણા અધિકારો સાથે ફરજોનું પણ સ્મરણ કરાવે છે. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવાયો હતો, જે દેશની એકતા અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રીય ગૌરવ અને દેશપ્રેમની ભાવનાથી પરિપૂર્ણ રહ્યો હતો.




















