Israel Iran War Nuclear Attack Fears WHO Warning: અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને 20 દિવસ પૂરા થઈ ગયા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પક્ષ નમતું જોખવા તૈયાર નથી. સમય વીતવાની સાથે હુમલાઓની ગંભીરતા પણ વધી રહી છે. અમેરિકા-ઇઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાન પણ પોતાની ઘાતક મિસાઇલોથી ઇઝરાયેલને ધ્રુજાવી રહ્યું છે. ભૂ-રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે જો ઇઝરાયેલનું નુકસાન આ જ રીતે વધતું રહેશે, તો તેની ધીરજ ખૂટી શકે છે. આવા સંજોગોમાં તે ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકીને જંગને એક ઝાટકે ખતમ કરવાનો નિર્ણય પણ લઈ શકે છે.
પરમાણુ ખતરાથી WHO ના અધિકારીઓ ફફડાટમાં!
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના અધિકારીઓ પણ આ આશંકાથી ડરેલા છે. તેમનું કહેવું છે કે આ યુદ્ધની સૌથી ખરાબ સ્થિતિ હશે અને તેઓ આ પરમાણુ ખતરાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. WHO ના પૂર્વી ભૂમધ્ય પ્રાદેશિક નિયામક હનન બલ્ખીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ જંગમાં સૌથી ખરાબ સ્થિતિ પરમાણુ ઘટના હશે. આ બાબત જ અમને સૌથી વધુ ચિંતામાં મૂકી રહી છે. અમે આનો સામનો કરવા ગમે તેટલી તૈયારી કરીએ, પરંતુ તેનાથી થતા નુકસાનને રોકી શકાશે નહીં. જો પ્રાદેશિક કે વૈશ્વિક સ્તરે આવી કોઈ ઘટના બને છે, તો તેની અસરો દાયકાઓ સુધી રહેશે."
તેમણે ઈરાનના એકમાત્ર કાર્યરત પરમાણુ ઉર્જા પ્લાન્ટ બૂશેહર પર થયેલા હુમલા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. ઈરાને આ અંગે સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ વોચડોગ સંસ્થા IAEA ને જાણ કરી છે. ઈરાનનું કહેવું છે કે મંગળવારે સાંજે તેના બૂશેહર પ્લાન્ટ પર કોઈ પ્રોજેક્ટાઈલ (મિસાઈલ જેવી વસ્તુ) પડી હતી, પરંતુ તેનાથી પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી અને કર્મચારીઓ પણ સુરક્ષિત છે.
ઇઝરાયેલની ધીરજની કસોટી
બલ્ખીએ આ ઘટના પર વધુમાં જણાવ્યું કે, બૂશેહર પ્લાન્ટ પર હુમલાથી હાલમાં પ્રદેશમાં રેડિયોએક્ટિવ પ્રદૂષણના કોઈ સંકેતો મળ્યા નથી, પરંતુ આ ઘટનાથી લોકોને સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તેમણે ચેર્નોબિલ (1986) અને હિરોશિમા-નાગાસાકી (1945)ની પરમાણુ દુર્ઘટનાઓનો હવાલો આપ્યો હતો. ચેર્નોબિલમાં શરૂઆતના મહિનાઓમાં 30 લોકોના મોત થયા હતા, જ્યારે હિરોશિમા-નાગાસાકીમાં આશરે 1 થી 2.5 લાખ લોકો માર્યા ગયા હતા.
'ટ્રમ્પ વિજય જાહેર કરી યુદ્ધનો અંત લાવે'
હનન બલ્ખીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પના AI સલાહકાર ડેવિડ સેક્સ પણ આવી જ ચેતવણી આપી ચૂક્યા છે. ડેવિડ સેક્સનું કહેવું છે કે યુદ્ધમાં નુકસાન વધતું જોઈ ઇઝરાયેલ પરમાણુ હથિયારના ઉપયોગ પર વિચાર કરી શકે છે. જો આવું થશે તો યુદ્ધ અત્યંત ભયાનક બની જશે, જેમાં લાખો લોકો માર્યા જશે. તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપી છે કે તેઓ આ યુદ્ધમાં પોતાની વિજય ઘોષિત કરી યુદ્ધ સમાપ્ત કરવાની જાહેરાત કરી દે.
બીજી તરફ, યુદ્ધને લઈને ટ્રમ્પનું વલણ અલગ છે. તેમનું કહેવું છે કે જો તેમણે ઓબામા પ્રશાસન દ્વારા ઈરાન સાથે કરવામાં આવેલી સમજૂતી ખતમ ન કરી હોત, તો 4 વર્ષ પહેલા જ દુનિયામાં પરમાણુ યુદ્ધ થઈ ગયું હોત. ટ્રમ્પે કહ્યું, "અમે ઈરાનની પરમાણુ સાઇટ્સ પર બોમ્બમારો કરીને તેમને તબાહ કરી દીધી. જો અમે આવું ન કર્યું હોત તો તે અત્યાર સુધીમાં પરમાણુ બોમ્બ બનાવી ચૂક્યું હોત અને દુનિયા પરમાણુ નરસંહાર જોઈ રહી હોત."
શું ઈરાન ખરેખર પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે?
ગુપ્ત અહેવાલો મુજબ, અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ગયા વર્ષે જૂનમાં કરવામાં આવેલા હુમલા બાદ ઈરાન ફરીથી પરમાણુ કાર્યક્રમને આગળ ધપાવવામાં લાગેલું છે. તે પોતાના યુરેનિયમ ભંડારને 60 ટકા સુધી એનરિચ (સંવર્ધિત) કરી ચૂક્યું છે. જે ક્ષણે તે આ ક્ષમતાને 90 ટકા સુધી પહોંચાડી દેશે, તે પરમાણુ બોમ્બ બનાવવા માટે સક્ષમ થઈ જશે. ઈરાનના શાસકોએ પહેલેથી જ એલાન કર્યું છે કે પહેલો પરમાણુ બોમ્બ બનતાની સાથે જ તેઓ તેને ઇઝરાયેલ પર ફેંકશે. આ ખતરાને ઓછો કરવા માટે અમેરિકા-ઇઝરાયેલ તેના પરમાણુ મથકોને નિશાન બનાવી રહ્યા છે, જેનાથી તેની હથિયાર બનાવવાની ક્ષમતામાં ઘટાડો તો થયો છે, પરંતુ જોખમ હજુ પણ તોળાઈ રહ્યું છે.




















