logo-img
Iran Nuclear Program Components Enrichment Level Breakout Time

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર? : જાણો ઈરાન પરમાણુ શક્તિ બનવાથી કેટલું દૂર

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર?
Published by: Offbeat Team
| Last Updated: Feb 21, 2026, 05:30 PM IST

અમેરિકા અને ઈરાન વચ્ચે તેહરાનના પરમાણુ કાર્યક્રમને લઈને જિનીવા ખાતે તાજેતરમાં પરોક્ષ મંત્રણાનો બીજો તબક્કો સંપન્ન થયો છે. ઓમાનની મધ્યસ્થતામાં આશરે 3 કલાક સુધી ચાલેલી આ બેઠકને રચનાત્મક ગણાવવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ શકી નથી. વધતા રાજદ્વારી દબાણ અને સૈન્ય તણાવ વચ્ચે સમગ્ર વિશ્વમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે પરમાણુ હથિયાર તૈયાર કરવા માટે કયા પાયાના ઘટકોની જરૂર હોય છે અને ઈરાન આ ઘાતક ક્ષમતા મેળવવાથી કેટલું દૂર છે.

પરમાણુ બોમ્બના મુખ્ય ઘટકો

માત્ર રેડિયોએક્ટિવ પદાર્થ હોવાથી પરમાણુ બોમ્બ બની જતો નથી પણ તેના માટે ખાસ ફ્યુઅલ, એડવાન્સ એન્જિનિયરિંગ અને ડિલિવરી સિસ્ટમનું જટિલ સંયોજન અનિવાર્ય છે. સૌથી મહત્વનો ઘટક 'ફિસાઈલ મટીરીયલ' છે જેમાં કાં તો હાઈલી એનરિચ્ડ યુરેનિયમ અથવા પ્લુટોનિયમ 239 નો ઉપયોગ થાય છે. કુદરતી યુરેનિયમમાં આઈસોટોપ U-235 માત્ર 0.7% હોય છે જ્યારે વેપન ગ્રેડ મટીરીયલ માટે તેને સેન્ટ્રીફ્યુઝ દ્વારા આશરે 90% શુદ્ધતા સુધી સંવર્ધિત કરવું પડે છે. એક બોમ્બ માટે અંદાજે 15 થી 25 કિલોગ્રામ શુદ્ધ યુરેનિયમની જરૂર પડે છે જ્યારે પ્લુટોનિયમના કિસ્સામાં માત્ર 4 થી 6 કિલોગ્રામ પૂરતું છે.

વેપનાઈઝેશન અને ડેટોનેશન સિસ્ટમ

ફિસાઈલ પદાર્થ મેળવ્યા પછી તેને કાર્યરત બોમ્બમાં ફેરવવા માટે અત્યંત જટિલ એન્જિનિયરિંગની જરૂર હોય છે. આ પ્રક્રિયામાં ન્યુક્લિયર કોરને ચોક્કસ સમયે હાઈ એક્સપ્લોઝિવ દ્વારા કમ્પ્રેસ કરવામાં આવે છે. આ માટે 'ક્રાઈટ્રોન' જેવા અલ્ટ્રા ફાસ્ટ ઈલેક્ટ્રોનિક સ્વિચનો ઉપયોગ થાય છે જે મિલિસેકન્ડ્સમાં વિસ્ફોટકને ટ્રિગર કરે છે. આ સાંકળ પ્રક્રિયાને વેગ આપવા માટે બેરિલિયમ જેવા રિફ્લેક્ટર પદાર્થોનો પણ સહારો લેવામાં આવે છે. અંતે આ પરમાણુ ઉપકરણને વ્યૂહાત્મક હથિયાર બનાવવા માટે તેને લોંગ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ પર માઉન્ટ કરવાની ક્ષમતા હોવી જોઈએ.

ઈરાન પરમાણુ હથિયારની કેટલું નજીક?

ઈરાન અત્યાર સુધીમાં યુરેનિયમને 60% શુદ્ધતા સુધી સંવર્ધિત કરી ચૂક્યું છે. ટેકનિકલ દ્રષ્ટિએ 60% થી 90% સુધી પહોંચવું એ અગાઉના તબક્કાઓ કરતા ઘણું સરળ ગણાય છે. નિષ્ણાતોના મતે ઈરાનનો 'બ્રેકઆઉટ ટાઈમ' એટલે કે પર્યાપ્ત ફિસાઈલ મટીરીયલ જમા કરવાનો સમય હવે માત્ર થોડા અઠવાડિયા કે દિવસોનો જ રહ્યો છે. જોકે આ પદાર્થને હથિયારમાં ફેરવવા, મિસાઈલ પર ફિટ કરવા અને જરૂરી પરીક્ષણો કરવામાં હજુ 6 મહિનાથી 1 વર્ષ સુધીનો સમય લાગી શકે છે.

રાજદ્વારી દબાણ અને વ્યૂહાત્મક તણાવ

વર્તમાન પરિસ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા ઈરાનને કડક ચેતવણી આપવામાં આવી હોવાના અહેવાલો છે. અમેરિકાની માંગ છે કે ઈરાન તેનું યુરેનિયમ સંવર્ધન અને મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંપૂર્ણપણે બંધ કરે. હાલમાં ઈરાન પાસે સમજૂતી કરવા માટે ખૂબ જ મર્યાદિત સમય હોવાનું મનાઈ રહ્યું છે જેના કારણે મધ્ય પૂર્વમાં વ્યૂહાત્મક તણાવ ટોચ પર છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now