અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેણાંક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે વિદેશી પ્રાણી–પક્ષીઓના બ્રીડિંગ અને વેચાણના રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે ‘રાવલભાઈ એપાર્ટમેન્ટ’માં દરોડો પાડી આ કાર્યવાહી કરી હતી. રહેણાંક મકાનમાં અત્યંત જોખમી અને દુર્લભ વિદેશી પ્રાણીઓનું મોટા પાયે પ્રજનન અને વેચાણ થતું હોવું સામે આવ્યું છે.
આ પ્રાણીઓ બચાવ્યા
દરોડા દરમિયાન ફ્લેટમાં બનાવાયેલા પાંજરાઓમાંથી અનેક દુર્લભ પ્રજાતિના જીવો મળી આવ્યા. તેમાં રેડ હેન્ડ ટેમરીન (Red-handed Tamarin) વાંદરાનું બચ્ચું, પર્સિયન બિલાડીઓ અને તેમના 7 બચ્ચાં, 14 હેમ્સ્ટર, 15 મીની લોપ સસલા અને 9 લેધર લેબ ડ્વાર્ફ પ્રાણીઓનો સમાવેશ થાય છે. પક્ષીઓમાં 6 આફ્રિકન ગ્રે પેરોટ, 5 બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, 3 એક્લેક્ટસ પેરોટ, 4 સન કોન્યુર, 2 ગાલા કોકાટુ, 1 સલ્ફર-ક્રેસ્ટેડ કોકાટુ તેમજ મોટી સંખ્યામાં આફ્રિકન લવબર્ડ્સ, કોન્યોર્સ, કોકાટીલ, બજરીગર અને ફિન્ચ પક્ષીઓ મળી આવ્યા છે. આ તમામ પક્ષીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવે છે.
કાયદાકીય ઉલ્લંઘન અને જોખમ
આરોપી દ્વારા રજૂ કરાયેલા ‘પરિવેશ’ (PARIVESH) પોર્ટલના દસ્તાવેજો પ્રાથમિક તપાસમાં અધૂરા અને શંકાસ્પદ જણાયા છે. ગીચ રહેણાંક વિસ્તારમાં કોઈ બાયોસિક્યુરિટી કે વૈજ્ઞાનિક સુવિધા વિના આટલી મોટી સંખ્યામાં વિદેશી પ્રાણી–પક્ષીઓ રાખવા ‘ઝૂનોટિક’ રોગો ફેલાવવાનો મોટો ભય ઉભો કરે છે, જે સ્થાનિક રહીશોના આરોગ્ય માટે જોખમી બની શકે છે. રહેણાંક મકાનનો વ્યવસાયિક સંવર્ધન માટે ઉપયોગ કરવો પણ નિયમોના ભંગ સમાન છે. મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગને સત્તાવાર જાણ કરવામાં આવશે. આ વિભાગો દસ્તાવેજોની ખરાઈ, આયાતની કાયદેસરતા અને આરોગ્ય જોખમ અંગે વિગતવાર તપાસ કરશે.




















