દાહોદમાં દેશના પહેલાં લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું લોકાર્પણ
આ એન્જિન પ્લાન્ટમાં હજારો લોકોને મળશે રોજગારીની તક
દાહોદમાં નિર્માણ થયું હોવાથી એન્જિનને અપાયું 'D-9' નામ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાહોદમાં દેશના સૌપ્રથમ 9,000 હોર્સપાવરના લોકોમોટિવ એન્જિન 'ડી9'નું લોકાર્પણ કર્યું. આગામી 10 વર્ષમાં આ રેલવે કારખાનું 1,200 એન્જિનનું ઉત્પાદન કરશે. પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે 3 વર્ષમાં ઉભું કરવામાં આવેલું આ રેલવે કારખાનું 20 હજાર કરોડના ખર્ચે સ્થાપવામાં આવ્યું છે. 'ડી9' એન્જિન ભારતીય રેલવે ઉપરાંત વિદેશમાં પણ નિકાસ થશે. દાહોદના કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતુંકે, દાહોદમાં નિર્માણ થયું હોવાથી તેને 'ડી9' નામ અપાયું છે. આ પ્લાન્ટના લીધે આશરે 10 હજાર લોકો માટે રોજગારની તક ઉભી થશે.
દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિન(Locomotive Engine)ને આગામી સમયમાં 100% મેઇક ઇન ઇન્ડિયાના તર્જ પર બનાવવામાં આવશે. આ લોકોમોટિવ એન્જિનની ખાસિયત એ છે કે, તે 4600 ટનના કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી તેમજ ટોયલેટ મૂકવામાં આવ્યા છે. આ સાથે દુર્ઘટનાથી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાવવામાં આવ્યા છે. દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલ કારખાનામાં આગામી 10 વર્ષમાં 1200 જેટલા લોકોમોટીવ એન્જિન તૈયાર થવાના છે. દાહોદમાં હાલ 4 એન્જિન હમણાં તૈયાર થઇ રહ્યા છે. આ તમામ એન્જિન ઉપર મેન્યુફેકચરિંગ બાય દાહોદ લખાશે.




















