ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા હવે પહેલા કરતા પણ વધુ અભેદ્ય બની ગઈ છે. મુંબઈ સ્થિત મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા નિર્મિત અત્યાધુનિક લડાયક ક્ષમતાઓ ધરાવતું યુદ્ધ જહાજ તારાગીરી ભારતીય નૌકાદળને સુપરત કરવામાં આવ્યું છે. 28 નવેમ્બરના રોજ યોજાયેલા એક કાર્યક્રમમાં અધિકારીઓએ આ માહિતી આપી હતી. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં ભારતની આ એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે કારણ કે આ જહાજ દુશ્મનના રડારને પણ થાપ આપવાની એટલે કે સ્ટેલ્થ ટેકનોલોજીથી સજ્જ છે.
તારાગીરી નામનો ઇતિહાસ ભારતીય નેવી સાથે જૂનો છે. અગાઉ આ જ નામનું જહાજ 16 મે 1980 થી 27 જૂન 2013 સુધી ભારતીય નૌકાદળનો હિસ્સો હતું. હવે તેનું આ નવું અને આધુનિક સ્વરૂપ તૈયાર થયું છે. નીલગિરી ક્લાસના પ્રોજેક્ટ 17A નું આ ચોથું યુદ્ધ જહાજ છે જેને સમુદ્રમાં ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે ખાસ તૈયાર કરાયું છે. તેની મારક ક્ષમતા અત્યંત ઘાતક છે. આ જહાજ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ અને એમએફ સ્ટાર રડારથી સજ્જ છે. આ ઉપરાંત તેમાં મધ્યમ અંતરની સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ તેમજ દુશ્મન સબમરીનનો ખાતમો બોલાવવા માટે રોકેટ અને ટોર્પિડો પણ ગોઠવવામાં આવ્યા છે.
ભારતીય ઈજનેરો અને કામદારોની મહેનતને કારણે આ જહાજ રેકોર્ડ સમયમાં તૈયાર થયું છે. તારાગીરીને બનાવવામાં માત્ર 81 મહિનાનો સમય લાગ્યો છે. જ્યારે આ શ્રેણીના પ્રથમ જહાજ નીલગિરીને બનાવવામાં 93 મહિના થયા હતા. છેલ્લા 11 મહિનામાં નૌકાદળને સોંપવામાં આવેલું આ ચોથું પી17A શ્રેણીનું જહાજ છે. પ્રોજેક્ટના બાકી રહેલા અન્ય ત્રણ યુદ્ધ જહાજો પણ આવતા વર્ષે ઓગસ્ટ સુધીમાં તબક્કાવાર રીતે નૌકાદળના કાફલામાં સામેલ કરી દેવામાં આવશે.
આ પ્રોજેક્ટ મેક ઈન ઈન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ જહાજોમાં જૂની શિવાલિક શ્રેણી કરતા વધુ આધુનિક સેન્સર અને હથિયારો છે. તેમાં વપરાયેલી 75 ટકા સામગ્રી સંપૂર્ણપણે સ્વદેશી છે. આ પ્રોજેક્ટમાં દેશના 200થી વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈ જોડાયેલા હતા. આ જહાજ નિર્માણ પ્રવૃત્તિને કારણે અંદાજે 4000 લોકોને પ્રત્યક્ષ અને 10000 થી વધુ લોકોને પરોક્ષ રીતે રોજગારીની તકો પ્રાપ્ત થઈ છે.





















