દુનિયાની સૌથી શક્તિશાળી ટીમ ગણાતી ભારતીય ટીમ ઘણી વાર એટલું ખરાબ રમે છે કે, સાવ નવા નિશાળિયા જેવી લાગે. જેનો તાજો નમૂનો બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ટેસ્ટ સિરીઝમાં જોવા મળ્યો છે. પહેલી ટેસ્ટ જીત્યા બાદ કોણ જાણે ટીમને શું થઈ ગયું છે કે, ધબડકો જ કરી રહી છે. આજે પાંચમી ટેસ્ટના પહેલા જ દિવસ આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાના ધારદાર બોલિંગ આક્રમણ સામે કોઈ ન ટકી શક્યું અને પેવેલિયન ભેગા થઈ ગયા. ભારતીય ટીમની પહેલી ઈનિંગ 185 રનમાં જ સમેટાઈ ગઈ. એમાં પણ સૌથી વધુ 40 રન પંતે બનાવ્યા. એટલે કે ભારતીય ટીમનો કોઈ બેટ્સમેન ફિફ્ટી પણ ન ફટકારી શક્યો.
મેચ પર ઓસ્ટ્રેલિયાએ જમાવી પકડ
ઓસ્ટ્રેલિયાએ આ મેચ પર પહેલાથી જ પકડ જમાવી હોય તેવી સ્થિત જોવા મળી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ 4 વિકેટ સ્કોટ બોલેન્ડે લીધી. ઓસ્ટ્રેલિયાની પણ જો કે, એક વિકેટ પડી ગઈ છે. મેચનો પહેલો દિવસ ખતમ થવા પર હતો ત્યારે જ ટીમના કેપ્ટન બુમરાહે ઉસ્માન ખ્વાજાને આઉટ કર્યો છે. હાલ તો આ મેચ ઓસ્ટ્રેલિયાના હાથમાં હોય તેમ લાગી રહ્યું છે. જો ભારતને WTCની ફાઈનલ રમવી હશે તો આ મેચ સારી રીતે જીતવી જ પડશે.
રોહિત શર્માનો ચોંકાવનારો નિર્ણય
આ મેચનો સૌથી ચોંકાવનારો નિર્ણય કેપ્ટન રોહિત શર્માનો રહ્યો. અત્યાર સુધીની મેચમાં ધબકડા બાદ રોહીતે આ મેચમાં ન રમવાનો નિર્ણય કર્યો અને બુમરાહને ટીમની કમાન સોંપી છે. કારણ કે ટેસ્ટમાં સતત નિષ્ફળતા બાદ રોહિત પર સવાલો ઉઠી રહ્યા હતા.ત્યારે ચર્ચા છે કે, રોહિતે પોતાના સ્વમાનને ઉપર રાખીને મેચથી દૂર રહેવાનું પસંદ કર્યું છે





















