IND vs ENG 2nd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગ્યે કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે. નાગપુરમાં પહેલી ODI મેચ 4 વિકેટથી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ODI શ્રેણીમાં 1-0થી આગળ છે. કટકમાં બીજી વનડે મેચ જીતતાની સાથે જ ભારત શ્રેણી જીતી લેશે. ઇંગ્લેન્ડ સામેની આ ODI મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની વાપસી થશે. જમણા ઘૂંટણમાં સોજો આવવાને કારણે વિરાટ કોહલી પહેલી વનડે રમી શક્યો નહીં, પરંતુ બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કર્યું કે આ અનુભવી બેટ્સમેન બીજી વનડે માટે 'સંપૂર્ણપણે ફિટ અને તૈયાર' છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી વનડે મેચ
ઈંગ્લેન્ડ સામેની બીજી વનડે મેચ દરમિયાન ચાહકોની નજર ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર રહેશે. રોહિત શર્મા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ટીમ મેનેજમેન્ટે પ્લેઇંગ ઇલેવન પસંદ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. પહેલી વનડેમાં વિરાટ કોહલીના સ્થાને શ્રેયસ ઐયરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેણે 36 બોલમાં 59 રન બનાવીને ટીમમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. હવે મોટો સવાલ એ છે કે ઓપનર યશસ્વી જયસ્વાલ અને છેલ્લી મેચમાં અડધી સદી ફટકારનાર શ્રેયસ ઐયરમાંથી કોને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવશે.
રોહિત સાથે ગિલ ઇનિંગની શરૂઆત કરી શકે છે
જો પહેલા આવું થયું હોત તો શ્રેયસ ઐયરની જગ્યાએ વિરાટ કોહલીનો ટીમમાં સમાવેશ થયો હોત, પરંતુ હવે એવી પૂરી શક્યતા છે કે ઓપનર યશસ્વી જયસ્વાલના સ્થાને તેને ટીમમાં સામેલ કરવામાં આવે, જે પહેલી મેચમાં અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ગિલ રોહિત સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. કોહલી ફિટ થઈને ટીમમાં પાછો ફરે છે, તો તેના ફોર્મ પર નજર રાખવામાં આવશે કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ખરાબ પ્રદર્શન બાદ હલીએ દિલ્હી માટે રણજી મેચ પણ રમી હતી પરંતુ આ મેચમાં પણ તે ફક્ત છ રન જ બનાવી શક્યો હતો.
વિરાટ કોહલી ઇતિહાસ રચવાની નજીક
વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે આ ફોર્મેટમાં 14000 પુરો કરવાથી માત્ર 94 રન દૂર છે. જો તે આ સિદ્ધિ હાંસલ કરશે, તો તે સચિન તેંડુલકર (18,426) અને કુમાર સંગાકારા (14,234) પછી આ સિદ્ધિ મેળવનાર ત્રીજો બેટ્સમેન બનશે. વિરાટ કોહલીની જેમ કેપ્ટન રોહિત પણ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. પહેલી વનડેમાં તે ફક્ત બે રન જ બનાવી શક્યો હતો. ગયા વર્ષે કોલંબોમાં શ્રીલંકા સામે 64 રન બનાવ્યા બાદ મુંબઈના આ બેટ્સમેન કોઈપણ ફોર્મેટમાં અડધી સદી ફટકારી શક્યો નથી.
રોહિતના ભવિષ્યને લઈને આશંકાઓ
જો રોહિત બીજી વનડેમાં પણ રન બનાવવામાં નિષ્ફળ જાય તો તેના ફોર્મ અને ભવિષ્ય અંગે શંકાઓ ઉભી થશે. ભારતનું બોલિંગ આક્રમણ સારું લાગે છે. ઝડપી બોલર મોહમ્મદ શમીએ વાપસી પછી સારું પ્રદર્શન કર્યું છે અને ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં લેતા ભારત માટે આ એક સારો સંકેત છે. છેલ્લી મેચમાં ડેબ્યૂ કરનાર હર્ષિત રાણાને ઈંગ્લેન્ડના ઓપનર ફિલ સોલ્ટે કઠિન પાઠ ભણાવ્યો હતો અને તે ઘણો મોંઘો સાબિત થયો હતો પરંતુ તેણે બેન ડકેટ અને હેરી બ્રુકની કિંમતી વિકેટો લઈને સારી વાપસી કરી હતી.





















