લુણાવાડાના કુખ્યાત ગુનેગાર સાજીદ રાબડી સાથે જોડાયેલા ફાયરિંગ કેસમાં હાઈકોર્ટે મહત્વપૂર્ણ ફેંસલો આપ્યો છે. કોર્ટે પોલીસની કાર્યવાહીને વ્યાજબી ગણાવી તેમને ક્લિનચિટ આપી છે.
સાજીદ રાબડી ફાયરિંગ કેસ
આ કેસ વર્ષ 2018નો છે, જેમાં સાજીદ રાબડી સામે આશરે 70 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા. તે સમયે આરોપીએ મહિલાઓ અને બાળકોને બંધક બનાવ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. પોલીસે દાવો કર્યો હતો કે નિર્દોષ લોકોના જીવ જોખમમાં હોવાથી મજબૂરીમાં ગોળીબાર કરવો પડ્યો હતો. હાઈકોર્ટે પોતાના અવલોકનમાં સ્પષ્ટ કર્યું કે આ ઘટના ‘એન્કાઉન્ટર’ તરીકે ગણાવી શકાય નહીં, પરંતુ તે ‘સેલ્ફ-ડિફન્સ’ એટલે કે સ્વબચાવના હક હેઠળ લેવાયેલ પગલું હતું.
કોર્ટે પોલીસ સામે તમામ કાયદાકીય કાર્યવાહી રદ કરી!
કોર્ટે નોંધ્યું કે નિર્દોષ નાગરિકો તેમજ પોલીસ કર્મચારીઓના જીવને તાત્કાલિક ખતરો હતો અને આવી સ્થિતિમાં કરવામાં આવેલી કાર્યવાહી અનિવાર્ય હતી. આ નિર્ણય સાથે હાઈકોર્ટે પોલીસ વિરુદ્ધ ચાલી રહેલી તમામ કાયદાકીય કાર્યવાહી રદ કરી દીધી છે. કોર્ટે પોતાના મહત્વપૂર્ણ નિવેદનમાં કહ્યું કે નિર્દોષ નાગરિકો અને પોલીસના જીવ જોખમમાં હોવાથી આ પગલું અનિવાર્ય હતું.




















