હિન્દુ ધર્મમાં વસંત પંચમીના પર્વનું વિશેષ સ્થાન છે જે શીતકાળની વિદાય અને મનમોહક વસંત ઋતુના આગમનની છડી પોકારે છે. આ વર્ષે 23 January અને શુક્રવારના રોજ ઉજવાઈ રહેલા આ ઉત્સવમાં જ્ઞાનની દેવી માં સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. આ દિવસે જે બાબત સૌથી વધુ ધ્યાન ખેંચે છે તે છે પીળો રંગ. ભક્તોના વસ્ત્રોથી લઈને પ્રસાદ અને શણગાર સુધી બધે જ પીળાશ જોવા મળે છે. આ રંગ પાછળ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પણ જ્યોતિષીય અને પ્રાકૃતિક કારણો પણ જવાબદાર છે.
શુભતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે પીળો રંગ
હિન્દુ સંસ્કૃતિ અને જ્યોતિષશાસ્ત્રમાં પીળા રંગને અત્યંત પવિત્ર અને મંગળકારી માનવામાં આવે છે. આ રંગ સીધો જ સકારાત્મક ઊર્જા, જ્ઞાન, સમૃદ્ધિ અને પવિત્રતા સાથે જોડાયેલો છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોઈએ તો પીળો રંગ બ્રહ્માંડના સૌથી શુભ ગ્રહ ગુરુ સાથે સંબંધ ધરાવે છે. ગુરુ ગ્રહ જ્ઞાન અને બુદ્ધિનો કારક હોવાથી માં સરસ્વતીની પૂજામાં આ રંગનો ઉપયોગ કરીને ભક્તો વિદ્યા અને કરિયરમાં સફળતાના આશીર્વાદ મેળવે છે.
પ્રકૃતિનો શૃંગાર અને વસંતનું આગમન
વસંત પંચમીના દિવસે પીળો રંગ પસંદ કરવા પાછળનું એક મુખ્ય કારણ કુદરત સાથે પણ જોડાયેલું છે. આ સમયે ખેતરોમાં રાયડાના પીળા ફૂલો ખીલી ઉઠે છે જે ધરતી પર પીળી ચાદર બિછાવી હોય તેવો ભાસ કરાવે છે. વસંત ઋતુમાં પ્રકૃતિમાં આવતી તાજગી અને નવજીવનનું પ્રતીક પીળો રંગ છે. આ જ કારણ છે કે સદીઓથી આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા અને ભગવાનને પીળા લડુ કે પીળા ફળોનો ભોગ ધરાવવાની પરંપરા અકબંધ રહી છે.
સરસ્વતી પૂજા અને પીળા રંગનું જોડાણ
માં શારદાને પીળો રંગ અત્યંત પ્રિય હોવાનું મનાય છે. ભક્તો પીળા રંગના માધ્યમથી દેવી પ્રત્યે પોતાની શ્રદ્ધા અને આદર વ્યક્ત કરે છે. આ દિવસે વિદ્યાર્થીઓ અને કળા જગત સાથે સંકળાયેલા લોકો ખાસ કરીને કેસરી કે પીળા રંગના કપડાં પહેરીને પૂજામાં બેસે છે જેથી તેમની એકાગ્રતા અને જ્ઞાન મેળવવાની શક્તિમાં વધારો થાય. આમ વસંત પંચમીએ પીળો રંગ અપનાવવો એ માત્ર એક ફેશન નથી પણ પ્રકૃતિ અને પરમાત્મા સાથે જોડાવાનો એક આધ્યાત્મિક માર્ગ છે.





















