ભારતમાં અનેક લોકોને પોતાના ઘરમાં પક્ષીઓ પાળવાનો શોખ હોય છે, પરંતુ આ શોખ ક્યારેક કાયદાકીય મુસીબતનું કારણ બની શકે છે. મોટાભાગના લોકોને એ જાણકારી હોતી નથી કે ભારતીય કાયદા મુજબ દેશી જંગલી પક્ષીઓને કેદમાં રાખવા સખત મનાઈ છે. વન્યજીવોની સુરક્ષા, પર્યાવરણની જાળવણી અને પક્ષીઓના ગેરકાયદેસર વેપારને અટકાવવા માટે સરકારે કડક નિયમો બનાવ્યા છે.
પક્ષીઓ પાળવા અંગે શું કહે છે કાયદો?
Wildlife Protection Act 1972 (વન્યજીવ સંરક્ષણ અધિનિયમ) મુજબ, કાયદાની સૂચિમાં સામેલ જંગલી પ્રાણીઓ અને પક્ષીઓને પકડવા, વેચવા કે કેદમાં રાખવા પર પ્રતિબંધ છે. આ કાયદો માત્ર શિકાર કરવા પર જ નહીં, પરંતુ પક્ષીઓને પાંજરામાં રાખવા પર પણ સમાન રીતે લાગુ પડે છે. જો પક્ષીને કોઈ નુકસાન ન પહોંચાડ્યું હોય અને માત્ર તેને રાખવામાં આવ્યું હોય, તો પણ તેને ગંભીર ગુનો માનવામાં આવે છે.
પોપટ અને મેના પાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ
ભારતમાં Rose-ringed Parakeet અને Alexandrine Parakeet જેવી પોપટની પ્રજાતિઓ ખૂબ લોકપ્રિય છે, પરંતુ કાયદેસર રીતે તેને રાખવા ગુનો છે. પાંજરામાં અવારનવાર જોવા મળતા હોવા છતાં, આ દેશી પોપટ કાયદા હેઠળ સુરક્ષિત છે. આ જ નિયમ મેના માટે પણ લાગુ પડે છે. માણસોના અવાજની નકલ કરવાની ક્ષમતા ધરાવતા આ પક્ષીઓને પકડવા અને વેચવા એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે.
ઘુવડ અને શિકારી પક્ષીઓની સુરક્ષા
ભારતમાં ઘુવડ (Owl) ને સૌથી વધુ સુરક્ષા આપવામાં આવી છે. ઘણીવાર અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓ માટે ઘુવડને નિશાન બનાવવામાં આવે છે, ખાસ કરીને તહેવારો દરમિયાન આવું વધુ જોવા મળે છે. તેવી જ રીતે, બાજ અને સમડી જેવા શિકારી પક્ષીઓને પણ કોઈપણ સંજોગોમાં પાળતુ પક્ષી તરીકે ઘરમાં રાખી શકાતા નથી.
મોર અને નાના જંગલી પક્ષીઓ પણ કાયદા હેઠળ
ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરને કાયદામાં સર્વોચ્ચ સુરક્ષા મળેલી છે. ઘરમાં મોર રાખવો, તેને ઈજા પહોંચાડવી અથવા તેના પીંછા ગેરકાયદેસર રીતે એકઠા કરવા બદલ કડક કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત ચકલી, મુનિયા, ફિન્ચ અને અન્ય ગાયક પક્ષીઓ જે ભારતના મૂળ નિવાસી છે, તેમને પાંજરામાં રાખવા પ્રતિબંધિત છે.
કેટલી થઈ શકે છે સજા?
જો કોઈ વ્યક્તિ પ્રતિબંધિત પક્ષીઓને પાળતી ઝડપાય છે, તો તેને 3 થી 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સાથે ઓછામાં ઓછો 25000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. ગુનાની ગંભીરતા મુજબ સજા અને દંડની રકમમાં વધારો થઈ શકે છે. માત્ર વિદેશી પક્ષીઓ (Exotic Birds), જે ભારતના મૂળ નિવાસી નથી, તેમને જ કાયદેસરની પરવાનગી સાથે પાળી શકાય છે.





















