ભરૂચ ભાજપ નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યા મામલે NIAએ આરોપી યુનુસ શેખ ઉર્ફે માંજરોનું મકાન ટાંચમાં લીધું છે. અત્રે જણાવીએ કે, વર્ષ 2015માં દાઉદ ઇબ્રાહિમના સાગરીત જાવેદ ચીકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી અપાઈ હતી. જે કેસમાં અમદાવાદ NIA વિશેષ કોર્ટના આદેશથી ભરૂચમાં આરોપીની મિલકત સીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં 11 આરોપી હાલ જેલમાં, એક ફરાર, એકનું મોત થયું છે.
આરોપી યુનુસ માંજરાનું મકાન ટાંચ લેવાયું
ભરૂચમાં વર્ષ 2015માં ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલ હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં આરોપી એવા યુનુસ શેખની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી મિલકત ટાંચમાા લીધી છે. એનાઈએ કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની વર્ષ 2015માં 2 નવેમ્બરના રોજ સેવાશ્રમ રોડ પર આવેલ સુર્યા પ્રિન્ટીંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.
જાણો સમગ્ર કેસ
ગુજરાત પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહીમના સાગરિત જાવેદ ચીકનાએ હિંદુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો, બાદમાં આ તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી દેવામાં અવી હતી. ગુજરાત પોલીસ અને NIA દ્વારા અત્યાર સુધી 11 આરોપીઓની ધરપકડ કરી છે. NIA ના DYSP પી પી પીરોજીયા NIA કોર્ટના આદેશ સાથે યુનુસ શેખના ઘરે પહોંચી હતી અને મિલકતો ટાંચમાં લેતા કોર્ટના હુકમ સાથેના બોર્ડ લગાવી દીધા હતા. NIA ની આજની કાર્યવાહીને પગલે 10 વર્ષ જુનો ચકચારી કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.




















