તારીખ 9 ડિસેમ્બરનો દિવસ દેશ અને દુનિયાના ઇતિહાસમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. આજનો દિવસ વૈશ્વિક સ્તરે ખૂબ જ મહત્વનો છે કારણ કે આજે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર જેવી ગંભીર સમસ્યા સામે લડવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસ સમર્પિત છે. આ ઉપરાંત ભારતીય રાજકારણના દિગ્ગજ નેતા સોનિયા ગાંધીનો પણ આજે જન્મદિવસ છે. ભારતના બંધારણના ઘડતરમાં પણ આજની તારીખ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
ભ્રષ્ટાચાર એ માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટો પડકાર છે. આ દૂષણને ડામવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પહેલ કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર 2003ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ ભ્રષ્ટાચાર વિરોધી પ્રસ્તાવ પસાર કર્યો હતો અને ત્યારથી દર વર્ષે 9 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વમાં સોમાલિયા અને સીરિયા સૌથી ભ્રષ્ટ દેશોમાં ગણાય છે જ્યારે ડેનમાર્ક અને ફિનલેન્ડમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ નહિવત છે.
ભારતીય ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 1946માં આજની તારીખે નવી દિલ્હીમાં બંધારણ સભાની સૌપ્રથમ બેઠક મળી હતી. આ બેઠક સાથે જ ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયાનો પાયો નખાયો હતો. આ સિવાય આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધીનો જન્મદિવસ છે.
દેશ વિદેશમાં બનેલી અન્ય ઘટનાઓ જોઈએ તો વર્ષ 1941માં ચીને જાપાન તથા જર્મની અને ઈટાલી સામે યુદ્ધની જાહેરાત કરી હતી. વર્ષ 2011માં કોલકાતાની આમરી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં બે નર્સોએ પોતાની જાનની બાજી લગાવીને આઠ દર્દીઓના જીવ બચાવ્યા હતા. વર્ષ 1898માં સ્વામી વિવેકાનંદે બેલુર મઠની સ્થાપના કરી હતી. વર્ષ 1992માં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાએ સત્તાવાર રીતે અલગ થવાની ઘોષણા કરી હતી. આતંકવાદ સામેના યુદ્ધમાં પણ આજનો દિવસ નોંધાયેલો છે કારણ કે વર્ષ 2003માં રશિયાના મોસ્કોમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.





















