વર્ષના બારમા મહિનાનો ત્રીજો દિવસ એટલે કે 3 ડિસેમ્બર ઈતિહાસના પાનાઓમાં અનેક મોટી ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. આજનો દિવસ ભારત માટે એક રીતે ગર્વ અને બીજી રીતે શોક એમ મિશ્ર લાગણીઓ લઈને આવે છે. આજે વિશ્વભરમાં શારીરિક અને માનસિક રીતે ભિન્ન ક્ષમતા ધરાવતા લોકો માટેનો વિશેષ દિવસ એટલે કે વર્લ્ડ દિવ્યાંગ ડે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત ભારતના પ્રથમ નાગરિક રહેલા રાજેન્દ્ર પ્રસાદ અને દેશ માટે બલિદાન આપનાર યુવા ક્રાંતિકારી ખુદીરામ બોઝ જેવા મહાનુભાવોની જન્મજયંતિ પણ છે. જોકે આ તારીખ સાથે 1984ની એક અત્યંત કરુણ અને કાળી યાદ પણ જોડાયેલી છે જેને યાદ કરીને આજે પણ લોકો થથરી જાય છે.
વિશ્વ દિવ્યાંગ દિવસનું મહત્વ આજે સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમાજમાં શારીરિક અક્ષમતા ધરાવતા લોકો પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાના ઉદ્દેશ્ય સાથે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન દ્વારા આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ 1983થી લઈને 1992ના સમયગાળાને યુનાઈટેડ નેશન્સે દિવ્યાંગો માટેના દાયકા તરીકે જાહેર કર્યો હતો. ત્યાર બાદ 1991થી દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ આ દિવસ સત્તાવાર રીતે મનાવવામાં આવે છે. ભારતમાં પણ દિવ્યાંગોના કલ્યાણ માટે સંગમ યોજના જેવી અનેક પહેલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકલાંગ શબ્દને બદલે સન્માનજનક દિવ્યાંગ શબ્દનો ઉપયોગ પ્રચલિત કર્યો છે.
ભોપાલ ગેસ કાંડની ગોઝારી ઘટના ઈતિહાસમાં આજની તારીખ એક કાળી શાહીથી લખાયેલી છે. વર્ષ 1984માં મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં યુનિયન કાર્બાઈડ નામની ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થયો હતો. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે જોતજોતામાં 3000થી વધુ લોકોના મોત નિપજ્યા હતા અને હજારો લોકો જીવનભર માટે શારીરિક અપંગતાનો ભોગ બન્યા હતા. આ ઘટના વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતોમાં ગણાય છે.
મહાનુભાવોનો જન્મદિવસ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને તે પછી દેશના નિર્માણમાં મહત્વનું યોગદાન આપનાર મહાનુભાવોનો આજે જન્મદિવસ છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ આજના દિવસે થયો હતો. આઝાદીના લડવૈયા અને ખુમારીથી ફાંસીના માંચડે ચડી જનાર ક્રાંતિકારી ખુદીરામ બોઝની પણ આજે જન્મજયંતિ છે. આ ઉપરાંત ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન અને ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજનો પણ આજે બર્થડે છે.
દેશ અને દુનિયાની અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ
વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દેશમાં કટોકટી એટલે કે ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
વર્ષ 1967માં ભારતે અવકાશ ક્ષેત્રે મહત્વની સિદ્ધિ મેળવતા થુમ્બા ખાતેથી પોતાનું પ્રથમ રોકેટ રોહિણી આરએચ 75 લોન્ચ કર્યું હતું.
વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા બાદ સર્જાયેલી પરિસ્થિતિને કારણે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે રાજીનામું આપ્યું હતું.
વર્ષ 2012માં ફિલિપાઈન્સમાં આવેલા ભયંકર ચક્રવાત બોફાને કારણે 475 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા.
વર્ષ 1989માં અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ અને રશિયાના રાષ્ટ્રપતિ મિખાઈલ ગોર્બાચેવ દ્વારા શીત યુદ્ધ એટલે કે કોલ્ડ વોરના અંતની જાહેરાત કરવામાં આવી હતી.
વર્ષ 1975માં લાઓસને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
વર્ષ 1959માં ભારત અને પાડોશી દેશ નેપાળ વચ્ચે ગંડક સિંચાઈ અને વીજળી પ્રોજેક્ટ અંગેના કરાર પર હસ્તાક્ષર થયા હતા.
વર્ષ 1910માં ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ ક્લાઉડેલ દ્વારા શોધાયેલા વિશ્વના પ્રથમ નિયોન લેમ્પનું પેરિસ મોટર શોમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.





















