Heatstroke Alert: ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ સૂર્યનારાયણ આકરા પાણીએ થયા છે. કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ગરમીથી બચવા માટે આપણે ઓફિસ કે ઘરમાં 16 થી 20 ડિગ્રી તાપમાનમાં એસી (AC) ચલાવીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે, એકદમ ઠંડા વાતાવરણમાંથી સીધા 40-43 ડિગ્રીના આકરા તડકામાં નીકળવું તમારા શરીર માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે? ડોક્ટરોના મતે, તાપમાનમાં આવો અચાનક મોટો ફેરફાર શરીરની સિસ્ટમને હચમચાવી નાખે છે, જે હીટ સ્ટ્રોકનું મુખ્ય કારણ બની શકે છે.
આ વખતે ઉનાળાની શરૂઆતમાં જ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જે સૂચવે છે કે, આગામી દિવસોમાં ગરમી હજુ પણ 'ભૂક્કા બોલાવશે'. જ્યારે શરીરનું તાપમાન અચાનક બદલાય છે, ત્યારે હીટવેવની અસર થવાની શક્યતા વધી જાય છે. આ સ્થિતિમાં માત્ર દવાઓ જ નહીં, પણ કેટલાક જરૂરી ઘરગથ્થુ નુસખા અને સાવચેતી રાખવી અનિવાર્ય છે. ચાલો જાણીએ હીટ સ્ટ્રોકના લક્ષણો અને તેનાથી બચવા માટે તબીબો શું સૂચન કરી રહ્યા છે.
તાપમાનમાં અચાનક ફેરફાર કેમ છે જોખમી?
ડોક્ટરોના મતે, જ્યારે આપણે 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા એસી રૂમમાંથી સીધા 43 ડિગ્રીના તડકામાં જઈએ છીએ, ત્યારે શરીરને આ તાપમાન સાથે અનુકૂલન સાધવા માટે પૂરતો સમય મળતો નથી. આના કારણે શરીરનું આંતરિક તાપમાન નિયંત્રિત કરવાની ક્ષમતા નબળી પડે છે. તેના પરિણામે ઉબકા આવવા, ચક્કર આવવા, સ્નાયુઓમાં ખેંચાણ અને અસહ્ય મૂંઝારો અનુભવાય છે. જો આ લક્ષણો જણાય તો તેને સામાન્ય ગરમી માનીને અવગણવા ન જોઈએ, કારણ કે તે ગંભીર હીટ સ્ટ્રોકનો સંકેત હોઈ શકે છે.
હીટ સ્ટ્રોકથી બચવા માટેના અસરકારક ઉપાયો
શરીરને હાઈડ્રેટેડ રાખો: ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી ડીહાઈડ્રેશન થઈ શકે છે. પલ્સ અને પ્રેશર જાળવી રાખવા માટે પુષ્કળ પાણી, ફળોનો રસ અથવા શેરડીનો રસ પીવો જોઈએ.
કપડાંની પસંદગી: ઉનાળામાં હીટસ્ટ્રોકથી બચવા હંમેશા આછા રંગના અને સુતરાઉ (કોટન) કપડાં પહેરવા જોઈએ, જે પરસેવો શોષી લે અને શરીરને ઠંડક આપે.
માથાનું રક્ષણ: જો તડકામાં નીકળવું અનિવાર્ય હોય, તો માથા પર ભીનું કપડું રાખીને ટોપી પહેરવી જોઈએ. આનાથી સીધો તડકો માથા પર લાગશે નહીં અને માથાનો દુખાવો ટાળી શકાશે.
તાત્કાલિક સારવાર: જો શરીરનું તાપમાન 106 ડિગ્રીની આસપાસ પહોંચી જાય, તો ગળું, બગલ અને સાથળના ભાગે આઈસપેક મૂકવા જોઈએ જેથી તાપમાન જલ્દી નીચે લાવી શકાય.
ખોરાક અને મુસાફરીમાં રાખો આ સાવધાની
ઝાડા-ઊલટી અને પાચન સંબંધી સમસ્યાઓથી બચવા માટે ઉનાળામાં હંમેશા હળવો અને તાજો ખોરાક લેવો જોઈએ. લાંબી મુસાફરી દરમિયાન દર થોડા સમયે છાંયડામાં 15-20 મિનિટ આરામ કરવો જોઈએ. ડોક્ટરો સલાહ આપે છે કે, બપોરે 12 થી 4ના ગાળામાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો કોઈ પણ લક્ષણો ગંભીર જણાય, તો ઘરગથ્થુ ઉપચાર પર નિર્ભર રહેવાને બદલે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.





