વર્ષ 2014માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'હસી તો ફસી' (Hasee Toh Phasee)માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાની જોડીએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. છેલ્લા 12 વર્ષોમાં આ ફિલ્મે સિનેમા જગતમાં એક 'કલ્ટ ક્લાસિક' ફિલ્મ તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. હવે આ જોડીના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે તેમની આ લોકપ્રિય ફિલ્મ ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. PVR INOX દ્વારા ગુરુવારે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે આ ફિલ્મ 6 Marchના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિ-રિલીઝ કરવામાં આવશે.
Anurag Kashyap દ્વારા લખાયા છે ફિલ્મના ડાયલોગ્સ
Karan Johar, Vikas Bahl, Vikramaditya Motwane અને Anurag Kashyap જેવા દિગ્ગજ નિર્માતાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મથી Vinil Mathew એ દિગ્દર્શનના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. ફિલ્મની વાર્તા એક વૈજ્ઞાનિક મીતા (પરિણીતી) અને લગ્ન કરવા જઈ રહેલા નિખિલ (સિદ્ધાર્થ) વચ્ચેના અનોખા પ્રેમ સંબંધની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં માત્ર પ્રેમ જ નહીં પરંતુ હૃદયસ્પર્શી સંવાદો પણ છે જે અનુરાગ કશ્યપ દ્વારા લખવામાં આવ્યા હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે તે સમયે અંદાજે 36.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું પરંતુ તેની વાસ્તવિક લોકપ્રિયતા તેના મધુર ગીતો અને વાર્તાને કારણે વર્ષો સુધી જળવાઈ રહી છે.
Karan Joharએ વ્યક્ત કરી ખુશી
ફિલ્મની રિ-રિલીઝ અંગે ખુશી વ્યક્ત કરતા કરણ જોહરે જણાવ્યું હતું કે, 'હસી તો ફસી' હંમેશા મારા હૃદયની નજીક રહેશે. આ ફિલ્મ એવા બે લોકોની સફર છે જેઓ એકબીજાની ખામીઓ અને અરાજકતા હોવા છતાં એકબીજાના પ્રેમમાં પડે છે. પ્રેક્ષકો ફરીથી સિનેમાઘરોમાં આ જાદુઈ કેમેસ્ટ્રીનો અનુભવ કરી શકશે તે જાણીને ઘણો આનંદ થાય છે. નોંધનીય છે કે આ ફિલ્મમાં પરિણીતી અને સિદ્ધાર્થની કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી હોવા છતાં આ બંને કલાકારો ત્યારબાદ ક્યારેય કોઈ પણ પ્રોજેક્ટમાં સાથે જોવા મળ્યા નથી.




















