સુગંધીત પાદડા ધરાવતી લોકપ્રિય શાકભાજી પાર્સલીનો રસોઈ અને ઔષધીય ઉપયોગને કારણે વિશ્વભરમાં માંગ છે. ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યોમાં પાર્સલીની ખેતી ખેડૂતો માટે નફાકારક વિકલ્પ બની રહી છે. આ પાક ઓછા રોકાણમાં વધુ ઉપજ આપે છે અને તેની ખેતી માટે ખાસ કૌશલ્યની જરૂર પડતી નથી. પાર્સલીની ખેતી શિયાળાની ઋતુમાં વધુ સફળ રહે છે. ફળદ્રુપ, સારી નિતારવાળી જમીન અને નિયમિત પાણીની વ્યવસ્થા સાથે ખેડૂતો તગડી આવક મેળવી શકે છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને નિકાસ બજારમાં તેની સતત માગ રહે છે. જેથી ખોટ થવાની શક્યતા નહીવત છે.
કેવી રીતે ખેતી કરવી, કેટલો થશે ખર્ચ?
પાર્સલીની ખેતી શરૂ કરવા માટે જમીનની તૈયારી, બીજ, ખાતર અને સિંચાઈની જરૂર પડે છે. એક હેક્ટર માટે લગભગ 2-3 કિલો ગુણવત્તાયુક્ત બીજની જરૂર હોય છે. જેનો ખર્ચ 2થી 3 હજારનો થાય છે. જમીન તૈયાર કરવા, ખાતર અને મજૂરીનો ખર્ચ ઉમેરતા કુલ ખર્ચ 40થી 60 હજાર સુધી થઈ શકે છે. પાર્સલીને ઓર્ગેનિક ખાતર અને નિયમિત પાણીની જરૂર હોય છે. પરંતુ તે રોગો અને જીવાતથી ઓછું પ્રભાવિત થાય છે જે ખર્ચને ઘટાડે છે. 50થી 60 દિવસમાં પ્રથમ કાપણી શરૂ થાય છે અને એક સીઝનમાં 2થી 3 કાપણી શક્ય છે.
સુગંધિત પાકમાં કેટલી છે આવક?
પાર્સલીની બજાર કિંમત 60થી 120 રૂપિયા પ્રતિ કિલો હોય છે. જે બજાર અને ગુણવત્તા પર આધાર રાખે છે. એક હેક્ટરમાંથી 8થી 12 ટન ઉત્પાદન થાય તો કુલ આવક 4થી 8 લાખ સુધી પહોંચી શકે છે. ખર્ચ બાદ કરી ચોખ્ખો નફો 3થી 7 લાખ થઈ શકે છે. જે પરંપરાગત પાકોની સરખામણીમાં ઘણો વધારે છે. નિકાસ બજારમાં પાર્સલીની માંગ વધુ હોવાથી ખેડૂતો ઓર્ગેનિક પાર્સલી ઉગાડીને વધુ નફો મેળવી શકે છે. સ્થાનિક બજારો ઉપરાંત શહેરી વિસ્તારોના રેસ્ટોરન્ટ અને હોટેલોમાં પણ તેની માંગ સતત રહે છે.
પાર્સલીના ફાયદા અને ઉપયોગ
પાર્સલી માત્ર રસોઈમાં જ નહીં પરંતુ ઔષધીય ઉપયોગ માટે પણ લોકપ્રિય છે. તેનો ઉપયોગ સલાડ, સૂપ, ગાર્નિશ, જ્યૂસ અને ઔષધીય ઉત્પાદનોમાં થાય છે. તેમાં વિટામિન A, C અને K ભરપૂર હોય છે. જે આરોગ્ય માટે ફાયદાકારક છે. ખેતીની દૃષ્ટિએ પાર્સલીનો પાક ઓછા રોકાણે ઝડપી ઉપજ આપે છે અને જમીનની ફળદ્રુપતા જાળવવામાં પણ મદદ કરે છે. આ ખેતી નાના ખેડૂતો માટે આદર્શ છે કારણ કે તેને ઓછી જમીન અને સંસાધનોની જરૂર હોય છે.





















