ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના સતત 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા વિશેષ બેઠક યોજી સર્વાનુમતે અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઠરાવમાં વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વ, રાષ્ટ્રસેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવતાં તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
વકફ બોર્ડ દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં જણાવાયું હતું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે વિકાસ, આત્મનિર્ભરતા, સુશાસન અને સર્વસમાવેશક કલ્યાણના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. બોર્ડે “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ”ના મંત્રને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
જનકલ્યાણકારી યોજનાઓની અસરનો ઉલ્લેખ
ઠરાવમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વકફ બોર્ડના જણાવ્યા અનુસાર, ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ વર્ગોને કેન્દ્રમાં રાખીને શરૂ કરાયેલી યોજનાઓના કારણે કરોડો નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
આવાસ, આરોગ્ય, સ્વચ્છતા, નાણાકીય સમાવેશ, મહિલા સશક્તિકરણ અને સામાજિક સુરક્ષા જેવા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિને બોર્ડે વિકાસના નવા અધ્યાય તરીકે વર્ણવી હતી. સાથે જ “ઈઝ ઓફ લિવિંગ”ના સંકલ્પને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું.
ધમકીઓ સામે અડગ, ફરજ પ્રત્યે અવિચળ સમર્પણ: બોમ્બની ધમકી વચ્ચે પણ કાર્યાલયમાં રહી કામગીરી કરતા રહ્યા મંત્રી અર્જુન મોઢવાડિયા
‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને સમર્થન
ગુજરાત રાજ્ય વકફ બોર્ડે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશ “વિકસિત ભારત @ 2047”ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. બોર્ડે આ રાષ્ટ્રીય સંકલ્પને સમર્થન આપતાં જણાવ્યું કે “વિકસિત ગુજરાત”ના ધ્યેય દ્વારા “વિકસિત ભારત”ના સપનાને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા છે.
ઠરાવમાં દેશના સર્વાંગી વિકાસ અને સમાવેશી પ્રગતિ માટે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોની પણ નોંધ લેવામાં આવી હતી.અધ્યક્ષ ડૉ. મોહસિન લોખંડવાલાનું નિવેદન
આ પ્રસંગે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ ડૉ. મોહસિન લોખંડવાલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશે વિકાસ અને સુશાસનના ક્ષેત્રે નવી દિશા પ્રાપ્ત કરી છે. તેમણે કહ્યું કે સર્વસમાવેશક વિકાસ અને જનકલ્યાણ માટે કરવામાં આવેલા પ્રયાસો દેશના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનના યોગદાનને દેશ હંમેશા યાદ રાખશે અને આગામી વર્ષોમાં પણ ભારત વિકાસના નવા શિખરો સર કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
બેઠકમાં સભ્યોની હાજરી
ગુજરાત રાજ્ય વકફ બોર્ડની બેઠકમાં બોર્ડના સભ્ય જિશાન નકવી, આરિફ સલોત, ઇમરાન ખેડાવાલા, સોફિયાબેન જામાલ અને શબાનાબેન કુરેશી સહિતના સભ્યો હાજર રહ્યા હતા. ઉપરાંત મુખ્ય કારોબારી અધિકારી પ્રદીપસિંહ રાઠોડ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન તમામ સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી અને દેશના વિકાસ માટે તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
ગુજરાતના ખેડૂતો આનંદો: બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદા વધારી; જાણો કેટલી કરી
રાષ્ટ્રસેવાના 12 વર્ષનો પ્રસંગ
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014માં પ્રથમ વખત ભારતના વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ સતત ત્રણ કાર્યકાળ સુધી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે દેશના વિવિધ ભાગોમાં વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા શુભેચ્છા કાર્યક્રમો અને અભિનંદન સંદેશો આપવામાં આવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા પસાર કરાયેલો આ ઠરાવ પણ તે જ શ્રેણીમાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.





