આકાશી આફત: ગુજરાતમાં આજથી 6 દિવસ વાવાઝોડા સાથે વરસાદની આશંકા
ગુજરાતના હવામાનમાં અચાનક મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી સતત 6 દિવસ સુધી પ્રિ-મોન્સૂન (ચોમાસા પૂર્વેની) ગતિવિધિઓની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં 50 km ની તીવ્ર ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે અને ધૂળની ડમરીઓ ઉડવાની સાથે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ 30 મે થી 4 જૂન દરમિયાન સક્રિય રહેશે. વાતાવરણમાં આવનારા આ અચાનક બદલાવને કારણે ખેડૂતો અને માછીમારોને ખાસ સાવચેત રહેવા અને પોતાની ખેત પેદાશોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.
જાણો કયા દિવસે કયા જિલ્લામાં બદલાશે હવામાન
ચોમાસા પૂર્વેની આ સિસ્ટમ તબક્કાવાર સમગ્ર ગુજરાતને આવરી લેશે, જેનું શિડ્યુલ નીચે મુજબ છે:
30 મે (આજે): કચ્છ, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સાંજના સમયે વાતાવરણ પલટાશે. અહીં તીવ્ર પવન સાથે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.
31 મે: મહેસાણા અને સાબરકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.
1 જૂન: આ સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે.
2 જૂન: પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધુ મજબૂત બનીને સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને પણ પોતાની ઝપેટમાં લઈ લેશે.
ચિંતાજનક સમાચાર: આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે
એક તરફ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આ વર્ષના ચોમાસાને લઈને ચિંતાજનક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના નવા અનુમાન મુજબ, આ વખતે સમગ્ર સીઝનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.
અગાઉના અહેવાલોમાં જ્યાં 92 ટકા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી હતી, તેમાં હવે ઘટાડો કરીને ચોમાસાના ચાર મહિનામાં માત્ર 90 ટકા વરસાદનું જ અનુમાન લગાવવામાં આવ્યું છે.
જૂન મહિનાથી જ દેખાશે 'અલ નિનો' ની ઘાતક અસર
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ વર્ષે જૂન મહિનાથી જ વરસાદની અછત વર્તાઈ શકે છે. દેશમાં જૂન દરમિયાન સરેરાશ 166.9 mm વરસાદ નોંધાતો હોય છે, પરંતુ આ વખતે આ આંકડો માત્ર 92 ટકા સુધી જ સીમિત રહે તેવી આશંકા છે.
આ નબળા ચોમાસા પાછળનું મુખ્ય કારણ 'અલ નિનો' (El Nino) પેટર્ન છે. અગાઉ એવું અનુમાન હતું કે અલ નિનો જુલાઈ મહિનામાં સક્રિય થશે, પરંતુ હવે તે જૂન મહિનામાં જ અસર બતાવે તેવા મજબૂત સંકેતો મળી રહ્યા છે. જો કે, ઓછા વરસાદના સંકટ વચ્ચે કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે, સરકાર આ પરિસ્થિતિને પહોંચી વળવા પૂરી તૈયારી કરી રહી છે અને ખરીફ પાક માટે દેશમાં બિયારણ કે ખાતરની કોઈ અછત સર્જાવા દેવામાં આવશે નહીં.





