Gujarat IAS Transfer 2026: ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં ભારતીય વહીવટી સેવા (IAS)ના 28 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશ જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department) દ્વારા 21 જુલાઈ, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ અનુસાર રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ, જિલ્લા વિકાસ કચેરીઓ, સરકારી નિગમો અને વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. GIDC, વીજ કંપનીઓ, મહાનગરપાલિકા, જિલ્લા વિકાસ કચેરીઓ સહિતના મહત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો; રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં કર્યો મોટો ફેરફાર...
આ બદલીઓમાં નગર વહીવટ, ગ્રામ વિકાસ, ઊર્જા, ઉદ્યોગ, આરોગ્ય, સામાજિક ન્યાય અને કૌશલ્ય વિકાસ જેવા અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નિયમિત વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવેલી આ બદલીઓથી અનેક જિલ્લાઓ અને સરકારી સંસ્થાઓમાં નવી નેતાગીરી મળશે તેવી શક્યતા છે.
મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટમાં મહત્વના ફેરફારો
જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પ્રભાવ જોષીની બદલી કરીને તેમને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)માં સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આઈ.આર. વાળાને જૂનાગઢ મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA)ના મુખ્ય કાર્યકારી અધિકારી સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દાહોદના જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાને સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મોકલવામાં આવ્યા છે, જ્યારે અરવલ્લીના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર હિરેન બારોટને દાહોદના નવા જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ડાંગ-આહવા અને અમરેલી સહિતના જિલ્લાઓમાં પણ નવા જિલ્લા વિકાસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.





ઊર્જા, ઉદ્યોગ અને સરકારી નિગમોમાં નવી જવાબદારીઓ
રાજ્યની વીજ વિતરણ કંપનીઓમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ગૌરાંગભાઈ મકવાણાને ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કે.જે. રાઠોડને દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એમ.ડી. ચૂડાસમાને પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જી.આઈ.ડી.સી., ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયઝ કોર્પોરેશન, ગુજરાત શેડ્યૂલ્ડ કાસ્ટ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન અને અન્ય અનેક સરકારી સંસ્થાઓમાં પણ નવા અધિકારીઓની નિમણૂકો કરવામાં આવી છે.
વહીવટી સંતુલન અને કામગીરીને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ બદલીઓમાં ઘણા અધિકારીઓને વધારાના ચાર્જમાંથી મુક્ત કરીને નિયમિત નિમણૂક આપવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી અનેક હોદ્દાઓ પર અધિકારીઓ વધારાની જવાબદારી સંભાળી રહ્યા હતા. હવે કાયમી નિમણૂકો થતાં વહીવટી કામગીરી વધુ સુવ્યવસ્થિત બનવાની અપેક્ષા છે. આદેશ પર સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મીની સહી છે અને રાજ્યપાલના નામે આ બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.






