ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં રહેલા આરોપી તથ્ય પટેલના ગુજરાત હાઈકોર્ટે ચાર દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. પોતાની માતાની બીમારીની સારવાર માટે તથ્ય પટેલે ફરી જામીન અરજી કરી હતી. જે હાઈકોર્ટે મંજૂર કરી 26 મેના રોજ સવારે 6 વાગ્યાથી 29 મેના રોજ રાત્રે 09 વાગ્યા સુધીના જામીન મળ્યા છે. જામીન દરમિયાન તથ્ય પટેલની સાથે ત્રણ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રહેશે. જો 26મેએ તથ્યની માતાનું ઓપરેશન ન થાય તો તાત્કાલિક સરેન્ડર થવા પણ હુકમ કરાયો છે.
નોંધનીય છે કે, અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ દ્વારા તેની માતાના ઓપરેશન સબંધિત કામગીરી માટે અમદાવાદ સેશન્સ કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. તથ્ય પટેલ દ્વારા 15 દિવસના હંગામી જામીન મેળવવા અરજી કરી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલ અરજી ફગાવી હતી.
શું હતી ઘટના?
19 જુલાઈ, 2023 ની મોડી રાતે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા એક અકસ્માતને લઈને ભીડ એકઠી થઈ હતી. આ સમયે ભારે ગતિથી આવેલી જગુઆર કારના ચાલકે ભીડને અડફેટમાં લીધી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે એસ.જી. 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તથ્ય પટેલ અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જુદીજુદી કલમો હેઠળ પોલીસે ધરપકડ કરી હતી.




















