Gujarat ATS: ગુજરાતની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ટીમને મોટી સફળતા હાથ લાગી છે. એટીએસની ટીમે સોશિયલ મીડિયા થકી આતંકીઓની રિક્રૂટમેન્ટ કરતી મહિલાની ધરપકડ કરી છે. આ લોકો સોશિયલ મીડિયા થકી યુવાઓનું માઈન્ડ વોશ કરીને તેને ધાર્મિક અને ઉશ્કેરણીજનક સાહિત્ય મોકલીને જેહાદ માટે તૈયાર કરતા હતા. મહત્ત્વનું છેકે, ઝડપાયેલી મહિલાનું અલકાયદા સાથે નું કનેક્શન પણ સામે આવ્યું છે. આ લોકો પણ અલકાયદાની કામગીરીમાં સંડોવાયેલા હતા અને ભારતના વિવિધ રાજ્યોમાં તેમની ઊંડી જાળ ઘડી રહી હતી.
ગુજરાત ATSની ટીમે મોટો મોટો ખુલાસો કર્યો છેકે, અલકાયદા સાથે જોડાયેલા નેટવર્કમાં સામેલ બેંગલુરુની સમા પરવીન ઝડપાઈ ગઈ છે. ઉલ્લેખનીય છેકે, બેંગલુરુની સમા પરવીન 23 જુલાઈએ ઝડપાયેલા ચાર આતંકીઓ સાથે સંપર્કમાં હતી. સોશિયલ મીડિયા મારફતે જેહાદી વિચારધારાનો પ્રચાર કરતી હતી. બેંગલુરુથી ઝડપાયેલી સમા પરવીન અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ હોવાનો ગુજરાત એટીએસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ-મોડાસાથી ઝડપાયેલા અલકાયદાના ચાર આતંકીઓને બેંગલુરુની સમા પરવીન ફોન પર સતત માર્ગદર્શન આપતી હતી. ગુજરાત એટીએસની તપાસમાં સમા પરવીનના મોબાઈલમાં અલકાયદાના વોટ્સએપ ગ્રુપ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.
સોશિયલ મીડિયા થકી આતંકીઓની 'ડિજિટલ રિક્રૂટમેન્ટ':
તપાસ દરમિયાન સામે આવ્યું કે, સમા પરવીન અને અન્ય આતંકી તત્વો સોશિયલ મીડિયાના માધ્યમથી ધાર્મિક ઉશ્કેરણીવાળી સામગ્રી શેર કરતા હતા. તેઓ 'જેહાદ' અને 'શરિયત'ને આધારે નવો યુથ રિક્રૂટ કરવાની કોશિશ કરી રહ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયાને 'ડિજિટલ બ્રેનવોશિંગ' તરીકે ઓળખી શકાય છે.
ગુજરાત ATSએ સમા પરવીન વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે અને તેના મોબાઈલ ફોન, લૅપટોપ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એજન્સી હવે આ કેસમાં આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કડી શોધી રહી છે, કારણ કે આ પ્રકારની કામગીરી દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર પડકાર બની શકે છે.
આ અગાઉ પણ થયો હતો મોટો ખુલાસો:
આ મહિનાની શરૂઆતમાં 23 જુલાઈના રોજ ગુજરાત ATSએ ચાર આતંકીઓને ઝડપ્યા હતા, જેમણે ભારતના વિવિધ ભાગોમાં હુમલાની યોજના બનાવી હતી. હવે સમા પરવીનની ધરપકડ બાદ વધુ નામો બહાર આવવાની સંભાવના છે. અલકાયદા જેવી આતંકવાદી સંસ્થાઓ હવે સોશિયલ મીડિયા અને ડાર્ક વેબના માધ્યમથી પોતાના આગેવાનોનું નેટવર્ક મજબૂત બનાવી રહી છે. ગુજરાત ATS દ્વારા ઝડપાયેલો આ કિસ્સો સ્પષ્ટ કરે છે કે હવે આતંકવાદી તત્વો ટેક્નોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરી રહી છે અને સામાન્ય લોકોની વિચારધારા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરી રહી છે.
23 જુલાઈએ ઝડપાયેલા ચાર આતંકીમાં બે અમદાવાદ અને મોડાસાના, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા.
માત્ર એટલું જ નહીં તેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ મળી હતી. ગુજરાત ATSએ દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશમાં સક્રિય થયેલા આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી હતી. લાંબા સમયથી એટીએસની રડારમાં હતાં. તપાસ દરમિયાન ગુજરાતના અરવલ્લીમાંથી બે અને દિલ્હીના નોઈડા અને ઉત્તર પ્રદેશથી એક-એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.





















