logo-img
Grand Celebration Of The 92nd Birth Anniversary Of His Holiness Mahant Swami Maharaj In Vadodara

વડોદરામાં મહંત સ્વામી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી : ગુજરાત-મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓની ખાસ ઉપસ્થિતિ, હજારો બાળકોએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

વડોદરામાં મહંત સ્વામી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
Published by: Offbeat Team
| Last Updated: Feb 03, 2026, 09:44 AM IST

Mahant Swami Maharaj's birth anniversary: વડોદરા શહેરમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા આયોજિત વિશાળ સત્સંગ કાર્યક્રમમાં મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ અને દીક્ષા પૂર્ણ થવાના 69 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ બે લાખ હરિભક્તો ઉમટ્યા હતા અને બે ઐતિહાસિક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પણ સ્થાપિત થયા હતા.

સદીઓથી માનવજાતને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું કે સનાતન સંસ્કૃતિ, સ્વધર્મ પરંપરા અને સંતશક્તિએ સદીઓથી માનવજાતને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપી છે. તેમણે સંત, શાસ્ત્ર અને મંદિરને આપણી સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભો ગણાવ્યા અને સ્વધર્મ તથા આસ્થાના કેન્દ્રો પર થયેલા આક્રમણો સામે સંતશક્તિ અને વીરોએ સનાતન સંસ્કૃતિને અકબંધ રાખી છે તેવું ઉલ્લેખ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ‘અહમશૂન્ય’ જીવનદર્શનને અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના ઉદાહરણ સાથે સંતોની વિનમ્રતાને તેમની સાચી તાકાત ગણાવી.

બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યો

તેમણે BAPS સંસ્થાના વૈશ્વિક કાર્યોની પ્રશંસા કરી, જેમાં 600થી વધુ મંદિરો, અબુધાબી હિન્દુ મંદિર, અમેરિકા અક્ષરધામ સહિતના આંતરરાષ્ટ્રીય કેન્દ્રોનો ઉલ્લેખ કર્યો. મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ 15,000થી વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યો અને 375થી વધુ યુવાન સંતોનું નિર્માણ થયું છે તેવું જણાવ્યું. શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુક્તિ અને માનવ સેવા ક્ષેત્રે BAPSના અદ્વિતીય કાર્યોની વાત કરીને તેમણે વિકસિત ભારત 2047ના સંકલ્પને વેગ મળે તેવી કામના વ્યક્ત કરી.

સનાતન સંસ્કૃતિમાં ગુરુ વંદનની મહત્તા પર પ્રકાશ પાડ્યો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગુરુ વંદનની મહત્તા પર પ્રકાશ પાડ્યો અને ગુરુ પરંપરાને દરેક યુગમાં જીવંત રાખનારું તત્વ ગણાવ્યું. તેમણે BAPS દ્વારા બાળકો અને યુવાનોમાં સંસ્કાર, સેવા અને સંસ્કૃતિની જાગૃતિ ઊભી કરવાના કાર્યોની પ્રશંસા કરી. મધ્યપ્રદેશમાં ગીતા પાઠના ગિનિસ રેકોર્ડ તૂટવાનો આનંદ વ્યક્ત કરતાં તેમણે આને મહંત સ્વામી મહારાજની સાધનાનું પરિણામ ગણાવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દેશ-વિદેશમાં થતા સેવા કાર્યો અને મધ્ય પૂર્વમાં મંદિરોની સ્થાપનાને સનાતન સંસ્કૃતિનું જીવંત ચમત્કાર કહ્યું.

હિન્દુ ગ્રંથના સૌથી મોટા સ્તરે પાઠ-ગાન માટે માન્યતા

આ અવસરે સત્સંગ દીક્ષા ગ્રંથ (315શ્લોકો)નું 15,666 બાળકો (3થી 13 વર્ષ) દ્વારા એક વર્ષમાં સંપૂર્ણ મુખપાઠ અને સમૂહગાન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો. આ ઐતિહાસિક ઘટનામાં ઘણા બાળકો ગુજરાતી ન જાણતા હોવા છતાં સંસ્કૃતમાં એકાગ્રતાથી ભાગ લીધો. બીજો રેકોર્ડ સમૂહમાં હિન્દુ ગ્રંથના સૌથી મોટા સ્તરે પાઠ-ગાન માટે માન્યતા મળી. કાર્યક્રમમાં નૃત્ય-નાટિકાઓ, મંત્રગાન, આરતી અને આશીર્વચનો થયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના શુભેચ્છા પત્રનું વાંચન પણ થયું. આ ભવ્ય ઉજવણીએ સનાતન મૂલ્યો, ગુરુ-શિષ્ય પરંપરા અને માનવ કલ્યાણના સંદેશને વૈશ્વિક સ્તરે પ્રસારિત કર્યો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now