હિંદુ ધર્મમાં 18 પુરાણોનો ઉલ્લેખ છે જેમાં 'ગરુડ પુરાણ'નું વિશેષ મહત્વ છે. સામાન્ય રીતે લોકો આ ગ્રંથને માત્ર મૃત્યુ સાથે જોડીને જોતા હોય છે પરંતુ વાસ્તવમાં આ ગ્રંથ આપણને જીવતા જીવ શ્રેષ્ઠ કાર્યો કેવી રીતે કરવા અને મૃત્યુ પછી આત્માની સફર કેવી હોય છે તેનું માર્ગદર્શન આપે છે.
મૃત્યુ પછીના 13 દિવસનું મહત્વ
શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેનો આત્મા તાત્કાલિક બીજું શરીર ધારણ કરતો નથી. તે લગભગ 13 દિવસ સુધી પોતાના ઘર અને પરિજનોની વચ્ચે જ નિવાસ કરે છે. આ જ કારણ છે કે ઘરમાં 13 દિવસ સુધી ગરુડ પુરાણના પાઠનું આયોજન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે આ પાઠ થાય છે ત્યારે મૃત વ્યક્તિનો આત્મા પણ તેને સાંભળે છે. આ સાંભળવા માત્રથી આત્માને મોહ માયામાંથી મુક્તિ મળે છે અને તેને આગળના માર્ગનું જ્ઞાન પ્રાપ્ત થાય છે જેનાથી અંતે મોક્ષની પ્રાપ્તિ સંભવ બને છે.
પુનર્જન્મનો સમય: ક્યારે અને કેવી રીતે?
ગરુડ પુરાણમાં જણાવાયું છે કે દરેક આત્માની સફર એક સમાન હોતી નથી. તે વ્યક્તિના કર્મો અને સાંસારિક આસક્તિ પર નિર્ભર કરે છે:
ત્વરિત જન્મ: કેટલાક આત્માઓ પોતાના કર્મોના આધારે તરત જ નવું શરીર પ્રાપ્ત કરી લે છે.
3 થી 13 દિવસ: ઘણા આત્માઓને આ પ્રક્રિયામાં 3થી 13 દિવસનો સમય લાગે છે.
1 વર્ષ કે તેથી વધુ: જો કોઈ વ્યક્તિનું મૃત્યુ 'અકાળ' એટલે કે અચાનક કે અકસ્માતમાં થયું હોય અથવા તેને પોતાના પરિવાર અને સંપત્તિ પ્રત્યે ગાઢ મોહ હોય તો તેને બીજો જન્મ લેવામાં 1 વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. આવી આત્માઓ માર્ગ ન મળવાને કારણે ભટકતી રહે છે. ત્રીજા વર્ષમાં તેમનું 'અંતિમ તર્પણ' કરવામાં આવે છે જેથી તેમને શાંતિ મળી શકે.
જીવનના 7 મહત્વપૂર્ણ નિયમો
ગરુડ પુરાણ માત્ર મૃત્યુ પછીની જ વાતો નથી કરતું પરંતુ સુખી જીવન જીવવા માટે 7 જરૂરી નિયમો પણ જણાવે છે:
ભક્તિ: ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખો.
દાન: પોતાની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોની મદદ કરો.
તપ અને સંયમ: પોતાના ક્રોધ અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખો.
સ્વચ્છતા: તન અને મન બંનેની નિર્મળતા જરૂરી છે.
કૂળદેવતાનું પૂજન: પોતાના પિતૃઓ અને કુલ દેવતાનું સન્માન કરો.
પરોપકાર: સ્વાર્થ વગર બીજાનું ભલું કરો.
શાસ્ત્રોનું જ્ઞાન: સારા પુસ્તકો અને ગુરુઓના વિચારોને જીવનમાં ઉતારો.
ગરુડ પુરાણ આપણને શીખવે છે કે મૃત્યુ એ અંત નથી પરંતુ એક પરિવર્તન છે. તે આપણને યાદ અપાવે છે કે આપણા કર્મો જ આપણી સાથે આવે છે. તેથી જીવતે જીવ સારા કાર્યો કરવા અને ધર્મના માર્ગ પર ચાલવું એ જ જીવનની સાચી સાર્થકતા છે.





















