India vs England: ભારત અને ઈંગ્લેન્ડની ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI સિરીઝની ત્રીજી મેચમાં એકબીજા સાથે ટકરાશે. કેપ્ટન રોહિત શર્માની જોરદાર સદીના આધારે ટીમ ઈન્ડિયાએ કટકમાં રમાયેલી બીજી મેચમાં ચાર વિકેટે જીત મેળવી હતી. છેલ્લા ચાર મહિનાથી સારી ઇનિંગની શોધમાં રહેલા રોહિતે કટકમાં સિક્સરોનો વરસાદ કરીને પોતાની 32મી ODI સદી પૂરી કરી હતી. રોહિતે આ સદી સાથે લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફોર્મ પાછું મેળવ્યું છે. આ સદી સાથે તેણે તેના ટીકાકારોને પણ જડબાતોડ જવાબ આપ્યો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા 'હિટમેન'ની સદીથી ઘણા ચાહકો ખુશ છે. આવી સ્થિતિમાં હવે અમદાવાદના ચાહકોની નજર ફરી એકવાર તેમના પર રહેશે. આ મેદાન તેમના માટે ખૂબ જ ખાસ છે, જ્યાં તેમણે પોતાના બેટથી ઘણા રન બનાવ્યા છે. રોહિતે આ મેદાન પર સાત ઇનિંગ્સમાં 354 રન બનાવ્યા છે. વર્ષ 2020 પછી તેના દ્વારા રમાયેલી મેચોની વાત કરીએ તો તે અહીં પાંચ મેચ રમી ચૂક્યો છે. આ મેચોમાં ભારતીય કેપ્ટને 42.20ની એવરેજથી 211 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો હાઈ સ્કોર 86 રન રહ્યો છે. આ રીતે કટક બાદ અમદાવાદમાં પણ રોહિત સદી ફટકારે તો કોઈ નવાઈ નહીં.
અમદાવાદ કેવું છે અન્ય ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન
રોહિત સિવાય અહીં અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીના પ્રદર્શન પર નજર કરીએ તો નવાઈ લાગે છે. વિરાટે વર્ષ 2020 પછી અહીં પાંચ મેચ રમી છે, જેમાં તેણે 19.20ની એવરેજથી માત્ર 96 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટનો હાઈ સ્કોર 54 રન હતો. વિરાટની જેમ વાઇસ-કેપ્ટન શુભમન ગિલ પણ અમદાવાદમાં રન માટે તરસી રહ્યો છે. તેણે આ મેદાન પર માત્ર બે મેચ રમી છે, જેમાં તેણે 10ની એવરેજથી 20 રન બનાવ્યા છે.
અમદાવાદમાં ચાલ્યું છે અય્યર-રાહુલનું બેટ
વિરાટ-ગિલથી વિપરીત શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેટથી ખુબ ચમક્યા છે. અય્યરે ત્રણ મેચમાં 68.50ની એવરેજથી 137 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે અર્ધસદી ફટકારી હતી. રાહુલે પણ આટલી જ મેચોમાં 67ની એવરેજથી 134 રન બનાવ્યા છે. આ મેદાન પર રાહુલનો હાઈ સ્કોર 66 રન છે.





















