Hardik Patel Sedition case : રાજદ્રોહના વર્ષો જૂના કેસમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના આરોપીઓને મોટી કાનૂની રાહત મળી છે. સુરત સેશન્સ કોર્ટે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી કેસ પરત ખેંચવાની અરજીને ગ્રાહ્ય રાખી છે. આ નિર્ણયના પગલે તમામ આરોપીઓને રાજદ્રોહના ગંભીર કેસમાંથી સંપૂર્ણ રીતે મુક્ત કરવામાં આવ્યા છે.
સુરત સેશન્સ કોર્ટે માન્ય રાખી અરજી
આ કેસ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો, જેમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને આરોપી બનાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ કેસ પરત ખેંચવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને સુરત સેશન્સ કોર્ટે માન્ય રાખી છે.
ચારેય લોકોને વર્ષો જૂના રાજદ્રોહના કેસમાંથી સંપૂર્ણ છુટકારો
કોર્ટના આ નિર્ણય બાદ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિત તમામ ચારેય લોકોને વર્ષો જૂના રાજદ્રોહના કેસમાંથી સંપૂર્ણ છુટકારો મળ્યો છે. આ કેસ રાજકીય અને કાનૂની દ્રષ્ટિએ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો. આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ કોર્ટમાં કાયદાકીય રજૂઆતો કરી હતી. તેમની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા સરકારની અરજી મંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોર્ટના આ નિર્ણયને આરોપીઓના સમર્થકો દ્વારા મહત્વપૂર્ણ અને ન્યાયસંગત ગણાવવામાં આવી રહ્યો છે, જ્યારે રાજકીય વર્તુળોમાં પણ આ ચુકાદાની વ્યાપક ચર્ચા ચાલી રહી છે.





















