અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં ગત 13 ફેબ્રુઆરીની મધરાતે થયેલા ફાયરિંગ બનાવ મામલે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. સમગ્ર પ્રકરણ અંગે એસીપી એ.બી. વાળંદ નિવેદન આપ્યું છે. માહિતી મુજબ બિસ્મિલ્લા બેકરી પાસે દિવાન પાર્લરની બહાર ચાની કીટલી પાસે બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. બનાવમાં ફરિયાદી મુદસર પઠાણના જમણા પગમાં ગોળી વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.
ચાની કિટલી પર ગોળીબાર કર્યો હતો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચાની કીટલી પર બેસવા બાબતે અગાઉ ઝગડો થયો હતો. આરોપીઓ ચાની કીટલી પાસે આવી 'ફૈઝાન ક્યાં છે?' કહી ગાળો બોલતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ગોળીબાર કર્યો હતો. પ્રથમ ગોળી ફરિયાદીના જમણા પગમાં વાગી હતી, જ્યારે બીજી ગોળી ચાની કીટલી તરફ ચલાવવામાં આવી હતી. મામલે મુખ્ય આરોપી અરબાઝ અયુબ શેખ સહિત સોએબ કાસમ અને રિઝવાન શેઝાન વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી
વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અરબાઝ શેખને સમગ્ર ગુનાનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવી રહ્યો છે અને તેની પાસેથી પિસ્તોલ કબજે કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે આ હથિયાર સુરતથી અજય નામના વ્યક્તિ પાસેથી લાવવામાં આવ્યું હતું અને આરોપીએ શોબાજી કરવા માટે તે મેળવ્યું હતું. પોલીસ રેકોર્ડ મુજબ આરોપીઓનો અગાઉ કોઈ નોંધાયેલો ગુનાહિત ઇતિહાસ નથી, છતાં તેઓ અન્ય કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કે નહીં તેની તપાસ ચાલુ છે. વેજલપુર પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે વિસ્તૃત તપાસ ચાલી રહી છે.




















