જૂનાગઢમાં મહાશિવરાત્રીના ભવનાથ મેળા દરમિયાન થયેલી ઘટનાને લઈને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે FIR નોંધાઈ છે. મેળા દરમિયાન ફરજ પર રહેલી મહિલા પોલીસ અધિકારી કે.જે. મોડ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ કરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
કીર્તિ પટેલ સામે FIR
માહિતી મુજબ ભવનાથ ખાતે આવેલા પ્રસિદ્ધ મૃગીકુંડમાં ડૂબકી લગાવ્યા બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું કે, ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ તેમને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. સાથે જ તેમણે “ભગવા પાછળના હું બધા રાજ જાણું છું” જેવી ટિપ્પણી કરીને અનેક રહસ્યો જાહેર કરવાની ધમકી આપી હતી. તેમણે રાત્રે 9 વાગ્યે પુરાવા સાથે સચ્ચાઈ જાહેર કરવાની વાત પણ કરી હતી.
સંત સમાજમાં ભારે રોષ
કીર્તિ પટેલના આ નિવેદનો અને સાધુ-સંતો સામે કરાયેલા આક્ષેપોને લઈને જૂનાગઢના અખાડાઓ અને સંત સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સંત સમાજ દ્વારા આ નિવેદનોને ગંભીર ગણાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે કે મહાશિવરાત્રી મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આવા સમયે સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવો ગંભીર ગુનો ગણાય છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.




















