Indigo Flight Status: શનિવારે સતત પાંચમા દિવસે ઇન્ડિગો એરલાઇન્સની કટોકટીનો કોઈ અંત દેખાતો નથી. તિરુવનંતપુરમ, અમદાવાદ, જયપુર, પુણે સહિત દેશના ડઝનેક મોટા એરપોર્ટ પરથી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોની હાલત કફોડી બની છે. એરપોર્ટ પર લાંબી કતારો, ગુસ્સે ભરાયેલા મુસાફરો અને અંધાધૂંધીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ કટોકટીને કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર જ ફસાઈ ગયા છે, જ્યારે બાકી રહેલી ફ્લાઇટ્સના ભાવ આસમાન છુએ તેવા થઈ ગયા છે. ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવી છે અને એરલાઇન્સની વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે.
રેલ્વેએ લીધું મોટું પગલું
આ મુશ્કેલ સમયે ભારતીય રેલ્વેએ મોટું પગલું ભરીને મુસાફરોને મોટી રાહત આપી છે. રેલ્વે મંત્રાલયે ફસાયેલા મુસાફરોને ઘરે પહોંચાડવા અનેક રૂટ પર વિશેષ ટ્રેનો ચલાવવાની અને અનેક ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લીધો છે. આ પગલાંથી હવાઈ મુસાફરીની અડચણ વચ્ચે રેલ્વે સાચા અર્થમાં “તારણહાર” બનીને ઊભરી આવ્યું છે.આ કટોકટી ક્યારે પૂરી થશે અને ઇન્ડિગો પોતાની સેવાઓ સામાન્ય કરશે તે હજુ અનિશ્ચિત છે, પરંતુ હાલ તો રેલ્વેની આ ત્વરિત કાર્યવાહીએ લાખો મુસાફરોના ચહેરા પર રાહતનું સ્મિત લાવ્યું છે.





















