પ્રયાગરાજ ભારતની ત્રણ પવિત્ર નદીઓનું સંગમસ્થાન છે, અને તેથી જ આ પાવન ભૂમિ પર કુંભનું આયોજન કરવામાં આવતું હોય છે. વર્ષ 2025માં 45 દિવસ માટે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, દૈનિકના કરોડો શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવીને પુણ્યનું ભાથુ મેળવતા હોય છે. આ શહેરનું જેટલું ધાર્મિક મહત્વ છે, તેટલું જ આ શહેર તેના સ્વાદિષ્ટ વ્યંજનો માટે ફેમસ છે. જો તમે પ્રયાગરાજની મુલાકાત લો છો તો આ વાનગીઓનો સ્વાદ લેવાનું ચૂકતા નહીં
અશોકનગરના સૈનિક સમોસા
ખાવાના શોખીનો જો અશોકનગરના સૈનિક સમોસા છોડી દે તો પ્રયાગરાજની મુલાકાત તેમની અધૂરી જ રહી ગઈ સમજો. આ સમોસાને સ્મેસ કરીને મસાલેદાર છોલે સાથે આપવામાં આવે છે. સમોસા –છોલે સાથે દહી, આમલીની ચટણી, ડુંગળી, ધાણા અને ઉપરથી સેવ ભભરાવવામાં આવે. પ્રયાગરાજના આ સ્ટ્રીટ ફૂડને ખૂબ પસંદ કરવામાં આવે છે.
રાજારામની લસ્સી
રાજારામની ઠંડી લસ્સી તો પ્રયાગરાજમાં ફેમસ છે, માખણથી ભરેલી આ લસ્સી પીને તમે પણ કહેશો વાહ... લસ્સી હોય તો આવી... આ લસ્સી જુદા જુદા ફલેવરમાં મળે છે. જો તમે લસ્સી પીવાના શોખીન છો તો રાજારામ લસ્સીવાલાની મુલાકાત અચૂકથી લેજો
નેતરામ મૂલચંદ એન્ડ સન્સ કચૌરી
ગોળ, મુલાયમ, સ્વાદિષ્ટ અને મોઢામાં જઈને જ પીગળી જનારી આ કચોરીની વાત જ નિરાલી છે. આ કચોરીના સ્વાદનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. અડદ દાલની આ કચોરીમાં મસાલેદાર માવો ભરાય છે. આ કચોરીને સબ્જીની સાથે ખાવામાં આવે છે. આ કચૌરીની ખાસિયત છે કે તેને શુદ્ધ ઘીમાં તળવામાં આવે છે. આહા...શું સ્વાદ હોય છે આ કચૌરીનો
સિવિલ લાઈન્સની મસાલા ભેળ
પ્રયાગરાજમાં સિવિલ લાઈન્સની સ્ટ્રીટ ફૂડમાં જાઓ તો તમને મસાલેદાર ભેળ જોવા મળશે. કોલકત્તા, મુંબઈમાં જે પ્રકારની સૂકી ભેળ મળે તેવી પ્રકારની છે. આ ભેળમાં મગફળી અને ચાટમસાલાનો સ્વાદ અદ્રભૂત હોય છે.
હીરા હલવાઈના ગુલાબજાંબુ
હીરા હલવાઈની દુકાનમાં તાજા દૂધથી બનાવાયેલા ગુલાબજાંબુની વાત જ અલગ છે. આ દુકાનની ખાસ રેસિપી વરસોથી જળવાઈ રહી છે. જ્યારે પણ તમે આ દુકાનની મુલાકાત લો ત્યારે તમને ફ્રેશ, દાણાદાર, મુલાયમ... બદામથી સજાવવામાં આવેલા ગુલાબજાંબુને લોકો મોજથી ખાય છે.




















