હિન્દુ પંચાંગ અનુસાર માઘ પૂર્ણિમાના સમાપન બાદ ફાગણ મહિનાનો પ્રારંભ થાય છે. વસંત ઋતુના આગમનનો સંદેશ લઈને આવતા આ માસનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ રહેલું છે. આ પવિત્ર માસમાં શિવરાત્રિ અને હોળી જેવા મોટા તહેવારોની સાથે વિજયા એકાદશી, આમલકી એકાદશી, યશોદા જયંતી અને જાનકી જયંતી જેવા મહત્વના વ્રતોનો પણ સમાવેશ થાય છે. પ્રાચીન શાસ્ત્રો મુજબ ફાગણ મહિનો મનની પ્રસન્નતા અને ભાવનાત્મક સંતુલન મેળવવા માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.
ભગવાન શિવ અને શ્રીકૃષ્ણની આરાધના
આ મહિનામાં મહાદેવની ઉપાસના કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. વસંતના આગમન ટાણે શિવલિંગ પર જળ અને પીળા પુષ્પો અર્પણ કરવાથી તેમજ ‘ૐ નમઃ શિવાય’ મંત્રના જાપથી માનસિક સ્થિરતા મળે છે. તે જ રીતે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ માટે પણ આ સમય શ્રેષ્ઠ છે. રાધા-કૃષ્ણને ગુલાલ ચઢાવવાથી અને ભજન કીર્તન કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. જે શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તેમણે બાલકૃષ્ણની અને જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ સ્વરૂપ કૃષ્ણની પૂજા કરવી જોઈએ.
ચંદ્ર પૂજા અને માનસિક સંતુલન
જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. ફાગણ માસમાં દરરોજ ચંદ્રદેવને દૂધનું અર્ધ્ય આપવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે. આ વિધિ કરવાથી માનસિક તણાવમાં ઘટાડો થાય છે અને વ્યક્તિને આંતરિક શાંતિનો અનુભવ થાય છે. ખાસ કરીને જે લોકો ભાવનાત્મક રીતે અસ્વસ્થ રહેતા હોય તેમના માટે આ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
દાનનો મહિમા અને વર્જિત કાર્યો
પુણ્ય કમાવવા માટે ફાગણ મહિનામાં પોતાની શક્તિ મુજબ શુદ્ધ ઘી, સરસવનું તેલ, મોસમી ફળો, અનાજ અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. જોકે, આ મહિનાના અંતિમ 8 દિવસો એટલે કે હોલાષ્ટક દરમિયાન કોઈ પણ માંગલિક કાર્યો જેવા કે લગ્ન અથવા ગૃહપ્રવેશ કરવા અશુભ ગણાય છે. આ આખો મહિનો સાત્વિકતા જાળવી રાખવી અનિવાર્ય છે. માસ, મદિરા કે અન્ય નશીલા પદાર્થોથી દૂર રહીને વાણી પર સંયમ રાખવો જોઈએ. ક્રોધ અને દ્વેષનો ત્યાગ કરીને દયાળુ સ્વભાવ કેળવવાથી જીવનમાં સાચી મીઠાશ આવે છે.




















