DELHI ELECTION 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામમાં આમ આદમી પાર્ટીને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય જીત સાથે 26 વર્ષનો વનવાસ પૂર્ણ થયો છે. જે અરવિંદ કેજરીવાલ 2015 અને 2020ની ટર્મમાં દિલ્હીવાસીઓના દિલમાં વસ્યા તે જ કેજરીવાલને દિલ્હીની જનતાએ જાકારો આપ્યો છે. અરવિંદ કેજરીવાલને જ ન્યૂ દિલ્હી બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. કેજરીવાલનો મુકાબલો ભાજપના પ્રવેશ વર્મા સામે હતો, જેમણે સારા એવા મતોથી જીત મેળવી છે. રાજધાની દિલ્હીમાં 26 વર્ષ બાદ કમર ખીલ્યું છે. હવે અરવિંદ કેજરીવાલ અને આપની હાર પર અભિનેતા અનુપમ ખેરની પણ તીખી પ્રતિક્રિયા સામે આવી છે.
સોશિયલ મીડિયા પર અનુપમ ખેરની પોસ્ટ
ચૂંટણીના પરિણામોમાં અરવિંદ કેજરીવાલની હાર પર અનુપમ ખેરે નિશાન સાધ્યું છે. કેજરીવાલની હાર પર તેમણે પ્રહાર કરતા કહ્યુ કે- આમ તો કોઈને પીડા પહોંચાડવી યોગ્ય નથી, પરંતુ જેમની સાથે અન્યાય થયો હોય, તેમના પસ હસવામાં આવે, પીડા પહોંચાડવામાં આવે, તેમની આત્માને દુખ પહોંચાડવામાં આવે , ત્યારે માણસાઈની તમામ હદ પાર કરવામાં આવે છે. અને આવા સમયે જે વ્યક્તિની આત્મા પીડાય તે વ્યક્તિના હૈયામાંથી હાય નીકળે છે, અને તે સમય જતા શ્રાપ બની જાય છે.
અનુપમ ખેરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં અરવિંદ કેજરીવાલની જૂની તસવીર શેર કરી હતી, આ તસવીર દિલ્હી વિધાનસભાની છે, જેમાં તે જોર જોરથી હસતા જોવા મળી રહ્યા છે, અભિનેતાએ કહ્યું કે- આ તસવીરમાં જે લોકો દેખાય છે, તેમની સાથે પણ એવું જ થયું, આ જ વિધિનું વિધાન છે. કાશ્મીરી પંડિતોની પીડા, તેમને વહાવેલા આંસુ, તેમની તકલીફોનો મજાક ઉડાવવામાં આવ્યો હતો.
કેજરીવાલ પોતાની બેઠક પણ ના જીતી શક્યા
મહત્વનું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને 25,999 વોટ મળ્યા, તો ભાજપના પ્રવેશ વર્માને 30,088 વોટ મળ્યા છે. પ્રવેશ વર્માએ કેજરીવાલને 4,089 વોટથી હરાવ્યા છે. ત્રીજા નંબર પર કોંગ્રેસના સંદીપ દીક્ષિત હતા, જેમને 4,568 વોટ મળ્યા છે.



















