ભવનાથ મહાશિવરાત્રી મેળાના આયોજનને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં સંતોના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન તથા સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને પ્રાચીન ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક વર્ષોથી ભવનાથ મહાદેવના દર્શન માટે દેશભરમાંથી લાખો ભક્તો અહીં આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
2900 પોલીસ કર્મચારીઓ તૈનાથ રહેશે!
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યોજાયેલી બેઠકમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે કેવી રીતે વધુ સારી અને સુવ્યવસ્થિત વ્યવસ્થા થઈ શકે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ વર્ષે રવેડી વિસ્તારમાંથી દર્શન રૂટમાં 500 મીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ભીડનું યોગ્ય સંચાલન થઈ શકે. સરકાર દ્વારા મેળા માટે વધારાની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દર વર્ષે અંદાજે 1600 પોલીસ કર્મચારીઓ તૈનાત રહે છે, જ્યારે આ વર્ષે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 2900 પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. સાથે જ 1000થી વધુ વોલન્ટિયર્સ પણ સેવા માટે હાજર રહેશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે આશરે 300 જેટલા ઉતારાઓમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને પીવાના પાણી માટે નવી પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
'દેશભરના સંતોને આ મહાશિવરાત્રી મેળામાં આમંત્રણ આપવામાં આવશે'
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ વર્ષે 11મી તારીખે સાંજે તમામ સંતોના સાન્નિધ્યમાં ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ સંતોનું સ્વાગત કરવામાં આવશે અને તેઓ પોતે તથા તેમના સાથીઓ આ સ્વાગત કાર્યક્રમ અને નગરયાત્રામાં હાજર રહેશે તેમ તેમણે જણાવ્યું. સાથે જ દેશભરના સંતોને આ મહાશિવરાત્રી મેળામાં આમંત્રણ આપવામાં આવશે. અંતમાં નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને આ પ્રાચીન અને ઐતિહાસિક ભવનાથ મહાશિવરાત્રી મેળામાં પધારવા હાર્દિક આમંત્રણ આપ્યું હતું. મહાશિવરાત્રીના ભવનાથ મેળાના ભવ્ય આયોજન માટે સંતોના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન તથા સરકારના વિવિધ વિભાગો વચ્ચે સુમેળભર્યું સંકલન કરવામાં આવ્યું છે. આ સંકલનના પરિણામે દેશના સૌથી મોટા અને પ્રાચીન ધાર્મિક મેળાઓમાંના એક એવા ભવનાથ મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અનેક વર્ષોથી ભવનાથ મહાદેવના દર્શન માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે વધુ સઘન અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.
સંઘવીએ કહ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર 1,000 થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. ૩૦૦ થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ બેઠકમાં મહાશિવરાત્રી મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ગીતનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ નિમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે.





















