સારા માતા-પિતા બનવું ખૂબ જ અઘરું કામ છે. તમે બાળકો સાથે કેવી વાતો કરો છો, બાળકો બીજા સાથે કેવી વાતો કરે છે, તેમનું વર્તન કેવું છે એ બધું જ તમે આપેલી તાલીમ પર આધારિત છે. માતા-પિતા હંમેશા બાળકો માટે સારું જ વિચારે છે, પરંતુ ક્યારેક અજાણતા એવું કરી બેસે છે, જેની બાળકો પર માનસિક રીતે ખરાબ અસર પડે છે. બાળકોના મનમાં આ વાત એવી ઠસી જાય છે, કે મોટા થયા બાદ પણ તે લોકો ભૂલી નથી શક્તા.
લોકોના સવાલનો જવાબ આપતી એક વેબસાઈટ પર કેટલાક લોકોએ પોતાના અનુભવ શૅર કર્યા છે. જેમાં તેમણે કહ્યું છે કે બાળપણમાં તેમના માતા-પિતાએ કહેલી વાતો તેમને હજી સુધી યાદ છે, અને તેની તેમના પર મોટી અસર પડી છે. લોકોએ પોતાનો અનુભવ શૅર કરીને કહ્યું છે કે તમારે આવી ભૂલ માતા-પિતા તરીકે ન કરવી જોઈએ.
જ્યારે તમારા બાળકો થશે, ત્યારે સમજશો
એક મહિલાએ લખ્યું છે કે,'બાળપણથી ટીન એજ સુધી મેં મારા માતા-પિતા પાસેથી એક વાત વારંવાર સાંભળી છે કે વધારે સંવેદનશીલ ન બનો. તારું ચીડિયાપણું મને પસંદ નથી. આ વાતો તમે ત્યારે સમજશો જ્યારે તમારા બાળકો થશે. તને શું તકલીફ છે. ગુસ્સામાં હંમેશા મારી મમ્મી મને કહેતી હતી કે હું તેના માટે ભારરૂપ છું.'
વખાણ ન કરવા
એક યુવકે પોતાનો અનુભવ શૅર કરતા લખ્યું છે,'એવી કોઈ વાતનો પ્રયાસ ન કરો, જેનાથી તમારા બાળકની પ્રતિભાનું અપમાન થાય. ખાસ કરીને બાળક પોતાની સમજ મુજબ કંઈક સારું કરવાનો પ્રયત્ન કરતો હોય. બાળક પોતાના નાના પ્રયત્નના વખાણ માતા-પિતા પાસેથી સાંભળવાની આશા રાખે છે. જો આવું ન થાય તો તે દુઃખી થાય છે. આ વાત તે ક્યારેય નથી ભૂલી શક્તા.'
ખોટું બોલવું
સાઈકોલોજિસ્ટના કહેવા પ્રમાણે,'બાળકો સાથે ક્યારેય ખોટું ન બોલો. જ્યારે તેમને સાચી વાત ખબર પડશે તો તમારી ઈમેજ પર અસર થશે. જ્યારે કોઈ બાળકને વારંવાર આવા અનુભવ થાય ત્યારે તે પોતાના માતા-પિતા પર વિશ્વાસ કરવાનું છોડી દે છે.'
મનોવૈજ્ઞાનિકની સલાહ
મનોવૈજ્ઞાનિકની સલાહ મુજબ તમે બાળકોને શું કહો છો તેના કરતા વધારે જરૂરી એ છે કે તમે કેવી રીતે કહો છો. બાળકો સંવેદનશીલ હોય છે, તેમના પર નાની નાની વાતોની અસર થાય છે. જ્યારે માતા-પિતા બાળકો સાથે વા ન કરે, તેમની વાતો ન સાંભળે ત્યારે બાળકના મન પર ઉંડી અસર પડે છે. આમ વારંવાર થવાથી બાળકો ઉદાસ થઈ જાય છે.
બાળકના દુઃખની મજાક
સાઈકોલોજિસ્ટ કહે છે કે માતા-પિતાએ ક્યારેય પોતાના બાળકની મજાક ન કરવી જોઈએ, તેમનું દુઃખ સમજવું જોઈએ. આ ઉપરાંત તેમને કંટ્રોલ કરવાથી બચવું જોઈએ. તેમની ઈચ્છા વિરુદ્ધની વસ્તુઓ તેમના પર થોપવી ન જોઈએ.
સરખામણી
ક્યારેય કોઈ બાળકની સરખામણી તેના ભાઈ-બહેન સાથે ન કરો. જો કોઈ બાળક કામ નથી કરી શક્તું, કશામાં નિષ્ફળ જાય છે તો તેને બીજા સામે શરમમાં ન મૂકો. સંબંધીઓ સામે બાળકની ખરાબ વાતો ન કરો. કોઈ બાળકને એ ક્યારેય ન કહેવું જોઈએ કે તમે તેને પ્રેમ નથી કરતા. આમ કરવાથી બાળક એકલું ફીલ કરવા લાગે છે.
(Diclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. OffBeatStories તેની પુષ્ટિ નથી કરતું. કોઈ પણ નુસખો અજમાવતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરૂરથી લો.)





















