આજે જ્યારે આખું વિશ્વ 14 ફેબ્રુઆરીને 'વેલેન્ટાઈન ડે' તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે મોટાભાગના લોકો તેને માત્ર મોંઘી ભેટો, લાલ ગુલાબ અને પાર્ટીઓ સાથે જોડે છે. પરંતુ, આ દિવસની હકીકત રોમેન્ટિક હોવા કરતાં વધુ સંઘર્ષમય અને પ્રેરણાદાયી છે. આ દિવસ પાછળ એક એવા સંતની કહાની છે જેમણે પ્રેમ અને માનવતાના હક માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.
રાજાની ક્રૂરતા
વાત છે ત્રીજી સદીના રોમ સામ્રાજ્યની, જ્યાં ક્લોડિયસ બીજા (Claudius II) નામના ક્રૂર રાજાનું શાસન હતું. તે સમયે રોમ સતત યુદ્ધોમાં વ્યસ્ત રહેતું. રાજાનું માનવું હતું કે સૈનિકો જો લગ્ન કરે અને તેમનો પરિવાર હોય, તો તેઓ યુદ્ધમાં પૂરી તાકાતથી લડી શકતા નથી અને તેમનું મન પરિવારમાં ભટકે છે. આ વિચિત્ર માન્યતાને કારણે તેણે રોમમાં સૈનિકોના લગ્ન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો.
સંત વેલેન્ટાઈન
રાજાના આ અન્યાયી આદેશ સામે સંત વેલેન્ટાઈને અવાજ ઉઠાવ્યો. તેઓ માનતા હતા કે પ્રેમ એ ઈશ્વરની દેણ છે અને લગ્ન એ પવિત્ર બંધન છે. રાજાના ડર વગર તેમણે ગુપ્ત રીતે સૈનિકો અને યુવાનોના લગ્ન કરાવવાનું શરૂ કર્યું. જ્યારે આ વાતની જાણ રાજા ક્લોડિયસને થઈ, ત્યારે તેમણે સંત વેલેન્ટાઈનને જેલમાં પૂરી દીધા અને તેમને મોતની સજા સંભળાવી.
જેલનો એ છેલ્લો પત્ર
જેલમાં હોવા છતાં સંત વેલેન્ટાઈનની શ્રદ્ધા ડગી નહીં. એવું કહેવાય છે કે જેલવાસ દરમિયાન તેમણે જેલરની અંધ પુત્રીની આંખોની રોશની પોતાની પ્રાર્થનાથી પાછી લાવી હતી. 14 ફેબ્રુઆરી, 270 ના રોજ જ્યારે તેમને ફાંસી આપવામાં આવી, ત્યારે તેમણે એ દીકરીને જેમને તેઓ પ્રેમ કરતા હતા એક પત્ર લખ્યો હતો, જેમાં અંતમાં લખ્યું હતું— "From your Valentine".
આમ, વેલેન્ટાઈન ડે અન્યાય સામે લડવાનો અને નિઃસ્વાર્થ પ્રેમની જીતનો દિવસ છે. આ વર્ષે જ્યારે તમે કોઈને 'વેલેન્ટાઈન' કહો, ત્યારે ચોક્કસ યાદ કરજો કે આ શબ્દ પાછળ એક સંતની હિંમત અને બલિદાન છુપાયેલું છે.




















