Navsari Christmas : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેવડી ગામમાં નાતાલ પર્વની ઉજવણીને લઈને વિવાદ ઉભો થયો છે. કેવડી ગામે ભીખુ મહાકાળ દ્વારા લેવાયેલી નાતાલ પર્વની ઉજવણીની પરવાનગી રદ્દ કરવામાં આવે તેવી માંગ દેવ બિરસા સેનાએ કરી છે. સંગઠનનું કહેવું છે કે નાતાલ પર્વની ઉજવણીની આડમાં આદિવાસી સમાજના લોકોનું ધર્મપરિવર્તન કરાવવામાં આવી શકે છે, તેવી ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વિરોધ પ્રદર્શનની ચીમકી
આ મામલે દેવ બિરસા સેના અને અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા વાંસદા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે, નાતાલ ઉજવણી માટે આપવામાં આવેલી પરવાનગી તાત્કાલિક રદ્દ કરવામાં આવે. જો પરવાનગી રદ્દ નહીં કરવામાં આવે તો નાતાલના દિવસે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ સંગઠનો દ્વારા આપવામાં આવી છે.
'...તો ભુખ હડતાળ તેમજ જેલભરો આંદોલન કરવામાં આવશે'
સંગઠનોના નેતાઓએ વધુમાં જણાવ્યું છે કે, જો પ્રશાસન તેમની માંગને અવગણશે તો મામલતદાર કચેરીએ ભુખ હડતાળ તેમજ જેલભરો આંદોલન કરવામાં આવશે. થોડા દિવસો અગાઉ વાંસદા વિસ્તારમાં અગ્નિવીર સંગઠન દ્વારા વટાળ પ્રવૃત્તિ અટકાવવામાં આવી હતી, જેનો ઉલ્લેખ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે. હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે, વાંસદા તાલુકામાં મોટા પ્રમાણમાં ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે અને પ્રશાસને આ મુદ્દે કડક પગલાં લેવાની જરૂર છે.




















