ED action in Surendranagar : સુરેન્દ્રનગરમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના દરોડાને લઈને કોંગ્રેસ મેદાને ઉતરી આવી છે અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના નેતાઓએ આ કાર્યવાહી પાછળ રાજકીય હેતુ હોવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ઈડીના દરોડા પસંદગીપૂર્વક અને કોર્પોરેટ કંપનીઓના હિતમાં પાડવામાં આવી રહ્યા છે.
'ગુજરાતના તમામ કલેક્ટરોની તપાસ થાય તો...'
કોંગ્રેસના આગેવાનો લાલજી દેસાઈ અને નૌશાદ સોલંકીએ સંયુક્ત રીતે પ્રેસને સંબોધતા જણાવ્યું હતું કે, જો ગુજરાતના તમામ કલેક્ટરોની જમીન NA (નૉન એગ્રીકલ્ચરલ) પ્રક્રિયાની તપાસ કરવામાં આવે તો વ્યાપક કૌભાંડ બહાર આવશે. તેમણે કહ્યું કે, માત્ર એક અધિકારીને નિશાન બનાવી કાર્યવાહી કરવી એ અન્યાયપૂર્ણ છે અને પાછળ કોઈ મોટું ષડયંત્ર છુપાયેલું છે.
'આ સમગ્ર કાર્યવાહી કોર્પોરેટ કંપનીના હિતમાં'
કોંગ્રેસનો દાવો છે કે સુરેન્દ્રનગરના કલેક્ટર સામે કરવામાં આવેલી કાર્યવાહીનું મુખ્ય કારણ એ છે કે અવાડા પાવરને સોલાર પ્રોજેક્ટ માટે જમીન ફાળવવામાં આવી હતી, જ્યારે કોઈ ખાસ કોર્પોરેટ કંપનીને જમીન ન ફાળવાતા કલેક્ટરને ભોગ બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી કોર્પોરેટ કંપનીના હિતમાં કરવામાં આવી હોવાનો કોંગ્રેસે આરોપ કર્યો છે.
'આ દરોડાની યોજના દિલ્હીથી બનાવવામાં આવી હતી'
કોંગ્રેસના નેતાઓએ વધુમાં જણાવ્યું કે, 'આ દરોડાની યોજના દિલ્હીથી બનાવવામાં આવી હતી અને રાજ્યમાં અમલ કરાવવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે જમીન NA કૌભાંડમાં માત્ર હાલના નહીં પરંતુ પૂર્વ કલેક્ટરોની પણ સંડોવણી છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી'.
'આ પ્રકારની કાર્યવાહીથી ઈમાનદાર અધિકારીઓનું મનોબળ તૂટે'
લાલજી દેસાઈ અને નૌશાદ સોલંકીએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો કે ઈડીના દરોડા દરમિયાન ગુજરાતના IAS અધિકારીઓને ચેતવણી આપવામાં આવી છે, જેનાથી અધિકારી તંત્રમાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ પ્રકારની કાર્યવાહીથી ઈમાનદાર અધિકારીઓનું મનોબળ તૂટે છે. કોંગ્રેસનું કહેવું છે કે, 'રાજકીય બદલો લેવા માટે કેન્દ્રની એજન્સીઓનો દુરુપયોગ બંધ થવો જોઈએ અને સત્ય બહાર લાવવા માટે તમામ જવાબદાર લોકો સામે સમાન રીતે કાર્યવાહી થવી જોઈએ'.




















