ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની જવાબદારી અમિત ચાવડાને સોંપવામાં આવી છે. ત્યારે આજે અમિત ચાવડા શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબેના દર્શન કર્યા હતા. જે દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓને સંબોધ્યા પણ હતા. આ દરમિયાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
મા અંબેના શરણે અમિત ચાવડા
બોલ માડી અંબે! 'જય જય અંબે'ના ગુંજતા નાદ સાથે શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને જગતજનની આદ્યશક્તિ માં અંબેના ચરણોમાં ધ્વજા અર્પણ કરી રાજ્યની જનતા માટે શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ અંબાજીમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકારની તાનાશાહી, ગેરવહીવટ અને અત્યાચારથી ત્રસ્ત વિવિધ રાજકીય-સામાજિક અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કાંતિભાઈ ખરાડી, અમૃતજી ઠાકોર, દિનેશભાઈ ઠાકોર સહિતના કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.
ચાચર ચોકમાં ગરબાની રમઝટ
આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના ધારાસભ્યો તેમજ અગ્રણીઓએ માતાજીના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.




















