Gujarat Congress: રાજ્યમાં નશાની સમસ્યાઓ, ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે કોંગ્રેસે આજે જન આક્રોશ રેલી યોજી હતી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું કે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં લોકો અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે. કિસાન આક્રોશ યાત્રા બાદ કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી હતી, જેના પ્રથમ ચરણનું ગત રોજ પૂર્ણ થયું. આ યાત્રામાં 1100 કિમીના ભ્રમણ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ, યુવાનો અને ખેડુતોની ગંભીર પીડા સામે આવી.
અમિત ચાવડાએ જણાવ્યું કે ગામોમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી, પરંતુ દારૂ સરળતાથી મળી રહે છે. યુવાનોમાં નશાનું પ્રમાણ અત્યંત વધી ચૂક્યું છે અને નાની ઉંમરે મોતના બનાવ પણ વધી રહ્યા છે. ભ્રષ્ટ પોલીસ અને હપ્તાખોર નેતાઓના કારણે યુવાનોનું ભવિષ્ય બગડી રહ્યું છે. યાત્રા દરમિયાન મળેલા લોકોના અવાજે હવે કોંગ્રેસ નશામુક્તિના મુદ્દે રાજ્યવ્યાપી લડત લડવા તૈયાર છે.
તેવું પણ સામે આવ્યું છે કે ગુજરાત "લેન્ડિંગ ડ્રગ્સ હબ" બની રહ્યું છે. પોર્ટ પર મોટા પાયે ડ્રગ્સના જથ્થા પકડાય છે, પરંતુ વિધાનસભામાં રજૂ થતા આંકડા સાથે તેમનો કોઈ મેળ નથી. જિગ્નેશ મેવાણીએ સરકારને આરોપ લગાવ્યો કે છેલ્લા પાંચ વર્ષમાં 80 હજાર કરોડનું ડ્રગ્સ રાજ્યમાં મળી આવ્યું છે, છતાં કોઈ મોટા રેકેટની ધરપકડ નથી. “આટલું મોટું ડ્રગ્સ કોઈ એક વ્યક્તિ ખરીદી શકે નહીં, તો આખું નેટવર્ક ક્યાં છે?”– એવો સવાલ તેમણે ઉઠાવ્યો.
કોંગ્રેસે આજે જનતા માટે એક હેલ્પલાઇન નંબર 9909089365 જાહેર કર્યો છે. લોકો કોઈપણ અનૈતિક પ્રવૃત્તિ કે નશાના કારોબારની માહિતી આપી શકશે. પાર્ટીનો દાવો છે કે લોકો પોલીસ અને બૂટલેગરોના ડરથી અવાજ ઉઠાવી શકતા નથી, ત્યારે કોંગ્રેસ તેમનો અવાજ બનશે.
ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે ડ્રગ માફિયાઓ માટે કોલેજ કેમ્પસ મહત્ત્વનું માર્કેટ બની ગયું છે. ભ્રષ્ટ પોલીસ જાણકારી લીક કરતી હોવાના આક્ષેપો પણ તેમને કર્યા. કોંગ્રેસ રાજ્યના 33 જિલ્લાની તમામ કોલેજોમાં નશામુક્તિ અભિયાન ચલાવી શપથ લેવડાવશે.





















