અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ખાતે આજે કોંગ્રેસ ઉગ્ર વિરોધ વિરોધ નોંધાવ્યું હતું. વિરોધ પક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણ, કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભ્રષ્ટાચાર સામે “સ્મશાન મેં ભી ભ્રષ્ટાચાર નહીં ચલેગા, નહીં ચલેગા” જેવા નારા લગાવ્યા હતા.
“ભ્રષ્ટાચાર રોડ રસ્તામાં ફસાયો, હવે સ્મશાનના લાકડામાં દેખાયો”
વિરોધનું કારણ તાજેતરમાં સામે આવેલી ઓઢવ સ્મશાન ગૃહની ઘટના હતી, જ્યાં મૃતદેહને અંતિમ વિધિ માટે સૂકા લાકડા ન મળતા ટાયરો અને ગાદલાનો ઉપયોગ કરીને અગ્નિદાહ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ “ભ્રષ્ટાચાર રોડ રસ્તામાં ફસાયો, હવે સ્મશાનના લાકડામાં દેખાયો” લખેલા પોસ્ટરો લઈને મેયર કચેરી સામે વિરોધ કર્યો હતો.
''તે ગંભીર અને શરમજનક બાબત છે''
શેહઝાદ પઠાણે મેયર પ્રતિભા જૈનને રજૂઆત કરતાં કહ્યું કે, “સ્માર્ટ સિટીમાં માણસને પાણી ન મળે તો ચાલે, પરંતુ અંતિમ વિધિ માટે લાકડા ન મળે તે ગંભીર અને શરમજનક બાબત છે. લાકડાના પુરવઠામાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર થયો છે, અને સંબંધિત કોન્ટ્રાક્ટરને માત્ર બ્લેકલિસ્ટ નહીં, પણ તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવી જોઈએ.”
''કોન્ટ્રાક્ટરો સામે FIR દાખલ કરવામાં આવે''
કોંગ્રેસ કોર્પોરેટર નીરવ બક્ષીએ પણ મેયરને રજૂઆતમાં માંગ કરી કે, “તમારા સ્મશાન ગૃહોમાં તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આવા કોન્ટ્રાક્ટરો સામે FIR દાખલ કરવામાં આવે.” કોંગ્રેસના નેતાઓએ આ પણ જણાવ્યું કે, સ્મશાન ગૃહોમાં ટેન્ડર મુજબ કામ થતું નથી, અને અગાઉ હાટકેશ્વર સ્મશાનમાં દારૂની પેટીઓ પણ ઝડપાઈ હતી. તેમનો આરોપ છે કે AMC પાસે ₹15,000 કરોડનું બજેટ હોવા છતાં સામાન્ય માણસને અંતિમ વિધિ માટે લાકડાં ન મળે તે નિંદનીય બાબત છે''.
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
ઓઢવ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાને લઈને બનેલી ઘટનાના cctv ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં જે મોટું ટાયર ચિતા ઉપર મૂકવામાં આવ્યું છે. સ્મશાનમાં ચિતા ઉપર ટાયર મૂકતો વીડિયોમાં જોવા મળે છે. સીસીટીવી ફૂટેજમાં ત્યાં લાકડા મૂકવામાં આવેલા છે અને લાકડાથી ચિતા સળગાવવામાં આવી છે. લાકડા મારફતે ચિતા સળગાવવામાં આવી રહી છે છતાં પણ તેના ઉપર ટાયર મૂકીને સળગાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.





















