Home National Congress Protest Near Pm House Rahul Priyanka Dharna

PM આવાસ પાસે રાહુલ-પ્રિયંકા સહિત નેતાઓ ધરણા પર : રાજધાની દિલ્હીમાં હવે વધુ ગરમાયો મામલો

Congress Protest PM House
Play Video
Image Credit: @RahulGandhi/x
Published by: Nirali Gohil
Last Updated: Jul 21, 2026, 11:52 AM IST

Congress Protest PM House: દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીને લઈને રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. કોંગ્રેસે મંગળવારે પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનથી વડાપ્રધાનના નિવાસસ્થાન (PM આવાસ) સુધી વિરોધ માર્ચ યોજ્યો, જેમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક સાંસદો અને વરિષ્ઠ નેતાઓ જોડાયા હતા. પોલીસ દ્વારા રસ્તામાં રોકવામાં આવતા કોંગ્રેસના નેતાઓ PM આવાસ નજીક જ રસ્તા પર ધરણાં પર બેસી ગયા અને કેન્દ્ર સરકાર સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યો. વિદ્યાર્થીઓના મુદ્દે સરકાર પર દબાણ વધારવાના પ્રયાસરૂપે કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. કોંગ્રેસનું કહેવું છે કે વિદ્યાર્થીઓ પર થયેલો બળપ્રયોગ અસ્વીકાર્ય છે અને જવાબદારી નક્કી કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અમિતશાહે રાજીનામું આપવું જોઈએ. બીજી તરફ, પોલીસે સુરક્ષાના કારણોસર PM આવાસ તરફ આગળ વધતા વિરોધી નેતાઓને રોક્યા અને કેટલાક નેતાઓની અટકાયત પણ કરી.

PM આવાસ તરફ વધતા કોંગ્રેસના નેતાઓને પોલીસે રોક્યા

સંસદ અને વિદ્યાર્થીઓના મુદ્દે વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસના સાંસદો PM આવાસ તરફ કૂચ કરી રહ્યા હતા. જોકે, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે તેમને આગળ વધતા અટકાવ્યા. ત્યારબાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓ રસ્તા પર જ ધરણાં પર બેસી ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યો. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે સરકાર વિદ્યાર્થીઓના પ્રશ્નોથી ભાગી રહી છે અને વિરોધના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

અનેક કોંગ્રેસી નેતાઓની અટકાયત

પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે કેટલાક કોંગ્રેસી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ દ્વારા તેમને બસમાં બેસાડીને અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા. અટકાયત કરાયેલા નેતાઓમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સહિત કોંગ્રેસના કેટલાક અન્ય નેતાઓનો પણ સમાવેશ થતો હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: 'સરકારે વિદ્યાર્થીઓની માફી પણ નથી માંગી...' : CJP ની સંસદ કૂચ અને NEET પેપર લીક પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

CJPના વિરોધ બાદ રાજકીય તણાવ વધુ વધ્યો

સોમવારે વિદ્યાર્થીઓના સંગઠન CJP દ્વારા જંતર-મંતરથી સંસદ સુધી વિરોધ માર્ચ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેના કારણે રાજકીય વિવાદ વધુ ઊંડો બન્યો છે. CJPનું કહેવું છે કે, NEET અને પરીક્ષા પ્રણાલીની ગડબડી માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જવાબદાર છે અને તેમના રાજીનામા વગર આંદોલન પાછું ખેંચવામાં આવશે નહીં.

JP નડ્ડા સાથે બેઠક છતાં કોઈ ખાતરી નહીં

વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓએ સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથે બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન સરકાર તરફથી તેમની મુખ્ય માંગણીઓ અંગે કોઈ સ્પષ્ટ ખાતરી આપવામાં આવી નહોતી. જોકે નડ્ડાએ પ્રતિનિધિઓને શાંતિ જાળવવા અને આંદોલન સમાપ્ત કરીને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં સહકાર આપવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: 'PM મોદી વિદ્યાર્થીઓને મળે અને તેમની વાત સાંભળે' : NEET વિવાદ વચ્ચે પ્રિયંકા ગાંધીની મોટી અપીલ

શરદ પવાર પણ જંતર-મંતર પહોંચ્યા

જ્યાં એક તરફ કોંગ્રેસના નેતાઓ PM આવાસ નજીક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર પણ પોતાના સાંસદો સાથે જંતર-મંતર પહોંચ્યા હતા.

વિપક્ષના વિવિધ પક્ષો હવે વિદ્યાર્થીઓના મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસમાં એકસાથે દેખાઈ રહ્યા છે.

NEET મુદ્દે સંસદથી રસ્તા સુધી રાજકીય ઘમાસાણ

NEET વિવાદ અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને દેશનું રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે. સંસદમાં પણ આ મુદ્દે વિરોધ પક્ષ સરકારને ઘેરી રહ્યો છે, જ્યારે રસ્તા પર કોંગ્રેસ અને અન્ય પક્ષો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આગામી દિવસોમાં સરકાર અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે રાજકીય ટકરાવ વધુ તીવ્ર બનવાની શક્યતા છે, કારણ કે વિદ્યાર્થીઓની માંગણીઓ અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાને લઈને દબાણ સતત વધી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now