Tushar Chaudhary statement : બનાસકાંઠાના પાડલીયા ગામમાં પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલાના મામલે કોંગ્રેસના નેતા ડૉ. તુષાર ચૌધરીએ કડક નિવેદન આપ્યું છે. તેમણે વન વિભાગ અને આદિવાસીઓ વચ્ચે ઉભા થયેલા ઘર્ષણને વખોડતાં જણાવ્યું હતું કે, 'આ પ્રકારની ઘટનાઓ દુઃખદ છે અને તેનું મૂળ કારણ વન વિભાગની કામગીરી છે'.
'આવી કાર્યવાહીથી આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો'
ડૉ. તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો કે, 'વન વિભાગ દ્વારા કોઈ નોટિસ કે પૂર્વ જાણ કર્યા વિના આદિવાસીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે વન વિભાગની નર્સરીમાં બીજી પેઢી કેવી રીતે ઘૂસી શકે અને તેની જવાબદારી કોણ લેશે'. તેમણે જણાવ્યું કે, 'આવી કાર્યવાહીથી આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે'.
'જંગલ ખાતાને કોઈને માર મારવાનો અધિકાર કોણે આપ્યો?'
તેમણે વધુમાં કહ્યું કે, 'ખેડબ્રહ્મ વિસ્તારમાં પણ અગાઉ વન વિભાગ દ્વારા માત્ર 13 વર્ષની ઉંમરના બાળકોને માર મારવામાં આવ્યો હતો, જે અત્યંત નિંદનીય છે. જંગલ ખાતાને કોઈને માર મારવાનો અધિકાર કોણે આપ્યો?” એવો સવાલ ઉઠાવી તેમણે વન વિભાગની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂક્યું.
'48 ટકા જંગલની જમીન આદિવાસીઓને મળેલી નથી'
ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે, આજે પણ રાજ્યમાં 48 ટકા જંગલની જમીન આદિવાસીઓને મળેલી નથી. આદિવાસીઓના જમીન અંગેના હક અને દાવાઓ મંજૂર કરવા માટે સરકારને તેમણે રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે સરકારને આ મુદ્દે તાત્કાલિક અને સંવેદનશીલ પગલા લેવા માટે અપીલ કરી છે.






