Cockroach Janta Party Viral Video: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ડાન્સ પાર્ટીના વીડિયોને લઈને કોકરોચ જનતા પાર્ટી (CJP) ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિરોધ પ્રદર્શન વચ્ચે પાર્ટીના કાર્યકરોની ઉજવણીના દૃશ્યો સામે આવ્યા બાદ રાજકીય અને સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠ્યા હતા. હવે આ સમગ્ર વિવાદ પર પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે પ્રથમ વખત વિગતવાર સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે વાયરલ થઈ રહેલા દાવા ભ્રામક છે અને જે સ્થળને ફાઈવ-સ્ટાર હોટેલ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, તે હકીકતમાં સામાન્ય બે-ત્રણ સ્ટાર શ્રેણીની હોટેલનો બેઝમેન્ટ હોલ હતો. સૌરવ દાસના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમનો હેતુ વૈભવી ઉજવણી કરવાનો નહોતો, પરંતુ છેલ્લા 37 દિવસથી રસ્તા પર રહી આંદોલનમાં જોડાયેલા 150થી 200 સ્વયંસેવકોનું સન્માન કરવાનો હતો. તેમણે દાવો કર્યો કે સોશિયલ મીડિયા પર માત્ર ડાન્સના થોડાક વીડિયો વાયરલ થયા છે, જ્યારે કાર્યક્રમમાં સૌથી પહેલાં સ્વયંસેવકો સાથે ચર્ચા, અનુભવ શેરિંગ અને ફીડબેક સેશન યોજાયું હતું.
વાયરલ વીડિયો અંગે CJPની સ્પષ્ટતા
પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા સ્વયંસેવકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. છેલ્લા 37 દિવસ સુધી આંદોલનમાં સક્રિય રીતે જોડાયેલા કાર્યકરોને આભાર વ્યક્ત કરવા અને તેમનું સન્માન કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, સોશિયલ મીડિયા પર માત્ર ઉજવણીના દૃશ્યોને વાયરલ કરીને સમગ્ર કાર્યક્રમને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે, જ્યારે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકરોના યોગદાનની કદર કરવાનો હતો.
સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ
વિવાદ વચ્ચે પણ CJPએ સરકાર સામેનું વલણ યથાવત રાખ્યું છે. પાર્ટીએ પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા તમામ FIR પાછા ખેંચવા માટે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સૌરવ દાસના જણાવ્યા અનુસાર, સરકાર સાથે ત્રીજા તબક્કાની ચર્ચા દરમિયાન મંગળવાર સુધીમાં લેખિત ખાતરી આપવાનો મુદ્દો ચર્ચાયો હતો. જો નિર્ધારિત સમયમર્યાદામાં લેખિત ખાતરી નહીં મળે તો પાર્ટી ફરીથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરશે.
'શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ' અંગેની શરતનો વિરોધ
CJPએ સરકાર દ્વારા પ્રસ્તાવિત એવી શરતનો પણ વિરોધ કર્યો છે જેમાં માત્ર "શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ" સામે કાર્યવાહી નહીં કરવાની વાત કરવામાં આવી હોવાનું કહેવાય છે. પાર્ટીનું કહેવું છે કે, આ પ્રકારની શરત પોલીસને મનસ્વી કાર્યવાહી કરવાની છૂટ આપે છે અને તેથી તમામ કેસો બિનશરતી પાછા ખેંચવામાં આવે તેવી તેમની માંગ છે.
આ પણ વાંચો: અચાનક કેમ હટી PM મોદીની ફેસબુક પોસ્ટ? : METAએ ખોલ્યું રહસ્ય, માંગી સરકાર પાસે માફી
બિહાર ફાયરિંગ મુદ્દે RAF પાસે માફીની માંગ
સૌરવ દાસે બિહારના સીવાન જિલ્લામાં પ્રદર્શન દરમિયાન થયેલા ફાયરિંગના મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ઘટનાની નિંદા કરતાં રેપિડ એક્શન ફોર્સ (RAF) દ્વારા જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, માત્ર સંબંધિત કર્મચારીઓને સસ્પેન્ડ કરવાથી વાત પૂર્ણ થતી નથી. ઘટનામાં જવાબદારી નક્કી કરીને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.
સંસદમાં શિક્ષણ અને પેપર લીક મુદ્દે ચર્ચાની માંગ
પ્રવક્તાએ સંસદમાં ચાલી રહેલી શિક્ષણ સંબંધિત ચર્ચાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પેપર લીક, શિક્ષણ સુધારણા અને પ્રદર્શનકારીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દાઓ પર સંસદમાં ગંભીર અને વ્યાપક ચર્ચા થવી જોઈએ. તેમના મતે, આવા મુદ્દાઓ પર સ્પષ્ટ નીતિ અને ચર્ચા દેશના યુવાનોમાં વિશ્વાસ વધારવા માટે જરૂરી છે.





