શહેરના લાલબાગ બ્રિજ નીચે આજે બે જૂથ વચ્ચે થયેલી ઝપાઝપીથી વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો. એક જ કોમના બે જૂથ વચ્ચે કોઈ કારણસર તકરાર થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને બંને તરફથી ઘાતક હથિયારો સાથે સામસામે મારામારી શરૂ થઈ હતી. જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.
મારામારી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ અથડામણમાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી વિસ્તારને ઘેરાવમાં લઈ તપાસ શરૂ કરી છે. હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.





















