Somnath Swabhiman Parv : સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્થિત પવિત્ર ધોળેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ધોળેશ્વર મહાદેવમાં મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજન-અર્ચન કરીને રાજ્ય અને દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી સાથે ગાંધીનગરના મેયર મીરાબેન, સ્થાનિક ધારાસભ્ય રીટાબેન તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અખંડ ઓમકાર નાદના જાપનું આયોજન
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આજથી ત્રણ દિવસ સુધી શિવ મંદિરોમાં વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેની શરૂઆત ગાંધીનગરના ધોળેશ્વર શિવ મંદિર ખાતે કરવામાં આવી હતી. આ અવસરે શિવ મંદિર પરિસરમાં અખંડ ધૂન તથા અખંડ ઓમકાર નાદના જાપનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે.
'72 કલાક સુધી અખંડ ઓમકાર નાદનો જાપ કરવામાં આવશે'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ અંતર્ગત સળંગ 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદનો જાપ કરવામાં આવશે, જેમાં ભારતના પ્રમુખ તીર્થો પણ જોડાશે. તેમણે વધુમાં જણાવ્યું કે દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ શ્રી સોમનાથ મહાદેવ કરોડો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર છે. મુખ્યમંત્રીએ સૌને આ અખંડ ઓમકાર નાદના જાપમાં જોડાવા અને “અખંડ સોમનાથ, અખંડ ભારત”નો સંકલ્પ લેવાની અપીલ કરી હતી. ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની શરૂઆત સાથે જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને શિવભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.





















